જીએસટીની ચોરી કરનારાઓની બાતમી આપવા લોકોને અનુરોધ
- વેરાની આવક તૂટતા કમિશનરો ભીંસમાં
- ટેલિફોન, વોટ્સ અપ કે પછી એસ.એમ.એસ. મારફતે માહિતી આપવા બાતમીદારોને જણાવ્યું
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકારની જીએસટીની આવકમાં ગાબડેગાબડાં પડયા હોવાથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની થઈ રહેલી ચોરીઓ પકડી પાડવા માટેની બાતમી આપવા આમજનતાને જીએસટી કમિશનરે અનુરોધ કર્યો છે.
સીજીએસટીની ગાંધીનગર કચેરીના ડેપ્યુટી કમિશનરની સહી સાથે મોકલવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દેશનો દરેક નાગરિક કરમિત્ર બનીને કરચોરી રોકવામાં મદદ કરી શકે છે.
કોઈપણ નાગરિક વૉટ્સ અપ કરીને, એસ.એમ.એસ. મોકલીને કે પછી ઑડિયો-વિડીયો મોકલીને કરવેરાની ચોરી અંગેની માહિતી મોકલાવી શકે છે. આ માટ ેસરકાર તરફથી 91577 02006 નંબર અલગથી ફાળવવામાં આવ્યો છે. આ ફોન અને તેના વોટ્સ અપ મેસેજ 24 કલાક ચાલુ રહેશે. ઈ-મઈલના માધ્યમથી પણ ચોરીની વિગતો મોકલવા અનુરોધ કરવા જણાવવામાં આવ્યું છે.
કર મિત્રની ઓળખ જાહેર ન કરવાની ખાતરી આપવામાં આવી છે. કર મિત્રએ આપેલી બાતમી સાચી પડશે તો તેને નિયમ મુજબ મળવાપાત્ર ઇનામ પણ આપવામાં આવશે. જોકે જૂના કેસોમાં નિયમ મુજબ ઇનામો ન અપાયાની ખાસ્સી ફરિયાદો પણ ડિપાર્ટમેન્ટ સામે હોવાનું જાણકારોનું કહેવંમ છે. બાતમીદારોએ આપેલી માહિતીનો પણ અધિકારીઓ દ્વારા દુરૂપયોગ કરવામાં આવતો હોવાનું જાણકારો જણાવે છે.