For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેવાર્ક-અમદાવાદનું વન-વે એરફેર અધધધ રૃ. અઢી લાખ

-એનઆરઆઇ સીઝનને પગલે એરફેર આસમાને

-લંડન-અમદાવાદનું એરફેર સામાન્ય દિવસો કરતાં ૩ ગણું વધીને રૃ. ૧.૧૦ લાખને પાર

Updated: Nov 22nd, 2022

અમદાવાદ,સોમવાર

કોઇ પણ કોવિડ નિયત્રંણ વિના યોજાઇ રહેલા લગ્નસરા, પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દિ મહોત્સવ અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-મતદાન માટે મોટી સંખ્યામાં આવી રહેલા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ ગુજરાત આવવાના છે. જેના પગલે ખાસ કરીને લંડન, અમેરિકાના નેવાર્કના એરફેરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ત્રણથી ચાર ગણો વધારો નોંધાયો છે.

લંડન-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૃપિયા ૪૦થી ૫૦ હજારની આસપાસ હોય છે. હવે ડિસેમ્બર માસમાં એરફેર વધીને રૃપિયા ૧.૧૦ લાખને પાર થઇ ગયું છે. બીજી તરફ નેવાર્કથી અમદાવાદનું એરફેર સામાન્ય દિવસોમાં રૃપિયા ૫૦ થી ૬૦ હજારની આસપાસ હોય છે. પરંતુ હવે તે વધીને રૃપિયા ૨.૫૦ લાખ થઇ ગયું છે. એરફેર વધવા છતાં જે લોકો મોડેથી ટિકિટ બૂક કરાવી રહ્યા છે તેમને હવે ટિકિટ મળી રહી નથી. બૂકિંગ એપ પ્રમાણે ૧૫ ડિસેમ્બરે દુબઇ-અમદાવાદનું મહત્તમ વન-વે એરફેર રૃપિયા ૫૨ હજારને પાર દર્શાવે છે.

જાણકારોના મતે, એરફેરમાં દર્શાવવામાં આવી રહેલો આ વધારો મહદઅંશે કૃત્રિમ છે. એજન્ટો દ્વારા અગાઉથી જ ટિકિટ બ્લોક કરવામાં આવે છે અને માગને આધારે તબક્કાવાર ટિકિટ વેચાણ કરે છે. આ ઉપરાંત એરક્રાફ્ટના ઈંધણમાં થયેલો વધારો પણ એરફેરમાં વધારા પાછળનું એક પરિબળ છે.  ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે વર્ષ બાદ મોટી સંખ્યામાં એનઆરઆઇ આવે તેવું બે વર્ષ બાદ પ્રથમવાર બનશે. અગાઉ ૨૦૧૯માં અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવેમ્બરમાં વિદેશ માટેના ૨.૮૨ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આ વખતે વિદેશી મુસાફરોનું આગમન નવા રેકોર્ડ સર્જી શકે છે.

Gujarat