Get The App

અમદાવાદમાં 40 હજારથી વધુ NFSA રેશનકાર્ડ બંધ થઇ ગયા !

- રાહતદરની ,મફત અનાજની યોજના છતાંય 6 માસ સુધી અનાજ લેવા ન આવ્યા

- શહેર પુરવઠા વિભાગે સાયલન્ટ થયેલા આ કાર્ડોને ફરીથી એક્ટીવ કરવા ઝૂંબેશ આરંભી, ચકાસણી બાદ એક માસમાં ફરીથી ચાલુ કરી દેવાશે

Updated: Jun 9th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.09 જુન 2022, ગુરૂવારઅમદાવાદમાં 40 હજારથી વધુ NFSA રેશનકાર્ડ બંધ થઇ ગયા ! 1 - image

અમદાવાદ શહેરમાં ૪૦ હજારથી વધુ એનએફએસએ રેશનકાર્ડ નિષ્ક્રિય બની ગયા છે. ૬ માસથી અનાજ લેવા આવ્યા ન હોવાના કારણે આ કાર્ડ આપોઆપ બંધ થઇ જવા પામ્યા છે. શહેરની તમામ ૧૫ ઝોનલ કચેરીઓમાં હાલમાં આ બંધ થયેલા કાર્ડને ફરીથી સક્રિય કરવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેમાં આધારકાર્ડ, બેંક ડિટેલ્સ, તમામ સભ્યોના અંગુઠાના નિશાન લીધા બાદ એક માસમાં કાર્ડને ફરીથી એક્ટીવ કરી દેવાશે કે જેથી લાભાર્થીઓને અનાજનો જથ્થો મળતો રહે.

અમદાવાદ શહેરમાં ૧૭ લાખથી પણ  વધુ લોકોને એનએફએસએ યોજના હેઠળ રાજ્ય સરકારનું રાહતદરનું તેમજ કેન્દ્ર સરકારનું મફત અનાજ મળી રહ્યું છે. કોઇ કારણોસર આ કાર્ડનો ઉપયોગ છ માસ સુધી થયો ન હોય તેવા કિસ્સામાં આપોઆપ આ કાર્ડ બંધ થઇ જતું હોય છે. ત્યારે એનએફએસએ યોજનાના લાભાર્થીઓ અનાજ મેળવવાના લાભથી વંચિત રહી જતા હોય છે.

આવા સાયલન્ટ થયેલા રેશનકાર્ડની ફરીથી ચકાસણી કરીને તેને એક્ટીવ કરી આપવાની ઝૂંબેશ શહેર પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ ઘરના તમામ સભ્યોના આધારકાર્ડ, બેંકની વિગતો આપ્યે તેમજ તમામ સભ્યોના અંગુઠાના નિશાન લીધા બાદ જો તે કાર્ડધારકો એનએફએસએ યોજના માટે લાયક ઠરતા હશે તો તેઓના કાર્ડ ફરીથી ચાલુ કરી શકાશે. 

ઉપરોક્ત તમામ વિગતો આપ્યા બાદ એક માસના ટૂંકા ગાળામાં જ સાયલન્ય કાર્ડને એક્ટીવ કરી અપાશે. કે જેથી કરીને રેશનકાર્ડના લાભાર્થીઓ અન્ન સુરક્ષાના કાયદા હેઠળ ફરીથી અનાજ મેળવતા થઇ જાય. હાલ શહેરમાં આવેલી તમામ ઝોનલ કચેરીઓમાં અરજદારોની ભીડ જામી છે.

Tags :