Get The App

અમદાવાદ મ્યુનિ.ના 1200 કરોડનાં વિકાસ કામો સ્થગિત કરી દેવાયા

- કોરોનાના કારણે કોર્પોરેશનની બગડેલી આર્થિક સ્થિતિ

- BRTSમાં ઈલેક્ટ્રિક-બસોની ખરીદીના 500 કરોડના પ્રોજેક્ટને બ્રેક રોડ, ગટર, પાણી, હેલ્થની જરૂરી યોજનાઓને અસર નહીં થાય

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિ.ના 1200 કરોડનાં વિકાસ કામો સ્થગિત કરી દેવાયા 1 - image


અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર

અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ લીધેલાં ભરડાના લીધે મ્યુનિ.નો ખર્ચ વધ્યો છે અને આવક ઘટી છે. જેના કારણે આર્થિક સ્થિતિ બગડી છે. આ સંદર્ભમાં સ્થિતિની સમીક્ષા કરીને તંત્રએ હાલ ખાસ જરૂરી ના હોય તેવા 1200 કામો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એપેડેમીક એક્ટ અને કોન્ટ્રાક્ટની અનિવાર્ય સંજોગોના ક્લોઝ હેઠળ 'ફોર્સ મેજર' અનિશ્ચિતતાનો ક્લોઝ લાગુ કરાયો છે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી તે લાગુ રહેશે. આ માટે સંબંધિત કોન્ટ્રાક્ટરોને જાણ કરી દેવામાં આવશે.

લોકડાઉન દરમ્યાન મ્યુનિ.ના આવકના સ્ત્રોને સારો એવો ધક્કો પહોંચ્યો છે. સ્ટાફ મહદ્ અંમશે રોગચાળાને નિયંત્રણમાં લેવાની કામગીરીમાં રોકાયેલો છે. મ્યુનિ.ના વર્ષ 2020-21ના 9600 કરોડના મંજુર થયેલાં બજેટમાં 5500થી 6000 કરોડના વિકાસ કામો સુચવાયા છે. જેના ટેન્ડરો બહાર પડે તે પહેલાં કોરોનાનો રોગચાળો શરૂ થઇ ગયો હતો. જેથી અસામાન્ય નાણાંકિય વધારા સાથે બહાર પાડેલ ઝાકઝમાળવાળું બજેટ બહુધા નિરર્થક સાબિત થવાનું છે.

હાલ લેવાયેલા નિર્ણય અંગે કમિશનર મુકેશ કુમારે જણાવ્યું છે કે કોરોનાની મહામારીને નિયંત્રણમાં રાખવા સરકારે જાહેર કરેલ લોકડાઉન દરમ્યાન મ્યુનિ.ની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેથી નાણાંકીય સ્થિતિને સુદ્રઢ બનાવવા ચોક્કસ આયોજન કરવું અત્યંત જરૂરી છે. જો કે જનસુખાકારી અને લોકોને ઉપયોગી હોય તેવા તેવા કામો ચાલુ રહેસે અને તેને પ્રાથમિકતા  અપાશે.

ઉપરાંત આ નિર્ણયથી સ્માર્ટસિટી, બીઆરટીએસ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ જેવા પ્રોજેક્ટને પણ આ બાબત લાગુ પડશે. જેમ કે ઈલેક્ટ્રીક બસોની ખરીદીની 500 કરોડની યોજના અને તેનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ જેવી યોજનાઓ માળીએ ચડી જશે. આનો અર્થ એ થયો કે વિવિધ સ્થળોએ લાઇટીંગ, ઉત્સવો-મેળાવડાઓનું આયોજન, રોડ, પાણી,હેલ્થ જેવી અનિવાર્ય અને પ્રાથમિક સુવિધા સિવાયની ખરીદી, નવા બાંધકામ કે બ્રિજના કામો વગેરેને બ્રેક લાગશે તેમ જણાય છે. જોકે એક ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરી કે લોકોને તકલીફ પડે તેવું કશું જ નહીં કરાય, ઉપયોગી હોય તેવા એક પણ કામને રોકવામાં નહીં આવે.

તમામ ખાતાના વડાંઓ પાસે કામોની વિગતો મગાવાઇ

મ્યુનિ.ના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તમામ ખાતાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, સિટી એન્જિનિયર, એડિ. એન્જિનિયરો વગેરેને તેમના અનિવાર્ય હોય તેવા પ્રોજેક્ટ અને ખર્ચ અંગે જણાવી દેવા લેખિત સૂચના અપાઇ છે. કયા કામો ના કરાય તો લોકોને તકલીફ નહીં પડે, તેની યાદી પણ માગી લેવામાં આવી છે. આ સૂચનાઓના જવાબો બાદ આગળના નિર્ણયો લેવાશે. હાલ તો બીઆરટીએસની ઈલેક્ટ્રિક બસો ખરીદવાના 500 કરોડનો પ્રોજેક્ટ મુલતવી રખાયો છે. આમ પણ ડિઝલ બસ કે ઈ-બસના મુદ્દે અગાઉના કમિશનર અને સત્તાધારી પક્ષ વચ્ચે મેતભેદો હતા જ.

300 ઇલેકટ્રીક બસોનો ઓર્ડર રદ કરાયો

બીઆરટીએસમાં કુલ 600 ઇલેકટ્રિક બસો લેવાની હતી, તેમાંથી સબસિડી વગરની 300 બસો રદ કરી દીધી છે, જેનો 10 વર્ષનો મેન્ટેનન્સ સાથેનો ખર્ચ રૂ. 1255 કરોડનો હતો. જયારે સબસીડીવાળી 300 બસોનો ઓર્ડર યથાવત રખાયો છે. જોકે ટાટા કંપની બસો છે, જે અંગે કંપનીએ પણ અગાઉ સમયસર ડિલીવરી 'અનિવાર્ય સંજોગો' અનુસાર નહીં આપી શકાય તેમ જણાવ્યું હોવાનું કહેવાય છે.

Tags :