Gujarat

દિવાળી બાદ પૂનઃરસીકરણની કામગીરી આરંભાઇ, ભીડ જામી

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
દિવાળી બાદ પૂનઃરસીકરણની કામગીરી આરંભાઇ, ભીડ જામી

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવાર

અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઇને બંધ વેક્શિનેશનની કામગીરી પૂનઃશરૂ થઇ ગઇ છે. ગત સોમવારથી જ શહેરભરમાં વેક્શિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્શિન લેવા માટે ઉમટી રહ્યા છે.વેક્શિન લેવા માટે અગાઉ લોકો ડરતા હતા હવે લોકો વેક્શિનેશન કેમ્પ શોધતા શોધતા આવી રહ્યા છે. આગામી ગુરૂ, શુક્ર અને શનિવારે રસીકરણના વિશેષ સેશનો યોજીને લોકોને રસી મૂકવામાં આવનાર છે.

અમદાવાદ પૂર્વના પટ્ટાઓમાં રસીકરણ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. ઓઢવ બ્રિજના નીચે રસીકરણ કેમ્પ શરૂ થઇ ગયો છે. જ્યાં સવાર પડયે રોજ મોટી સંખ્યામાં લોકો રસી મૂકાવવા માટે આવી રહ્યા છે. 

અમદાવાદ જિલ્લામાં ૪૬૬ ગામોમાંથી ૪૬૫ ગામમાં પ્રથમ ડોઝનું સો ટકા રસીકરણ સંપન્ન થયું છે. ૧૧,૮૩,૨૧૮ લાભાર્થીઓની સામે પ્રમથ ડોઝમાં ૧૨,૯૨,૫૮૬ લાભાર્થીઓને પ્રથમ ડોઝની રસી મૂકવામાં આવી છે. આમ પ્રથમ ડોઝમાં ૧૦૯ ટકા રસીકરણ થયું છે. બીજા ડોઝમાં ૧૦,૮૩,૨૩૩  લાભાર્થીઓની સામે ૯,૧૭,૨૩૩ લાભાર્થીઓએ રસી મૂકવામાં આવી છે. બીજા ડોઝમાં ૮૫ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

૩૬ પીએસસી અને ૫ યુએચસીમાં ૧૦૦ ટકા રસીકરણ થઇ ગયું છે. જિલ્લામાં  ધંધૂકા અને ધોલેરા તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. હાલમાં ૧૫૩ સેન્ટરો પરથી રસીકરણની કામગીરી કરાઇ રહી છે.