વાહ! હવે તમે ઇટલીના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ ગામમાં સાત દિવસ ફ્રીમાં રોકાઇ શકશો
- લોકડાઉન બાદ પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની ઇટલીની સરકારની નવી પહેલ
નવી દિલ્હી, તા. 07 જુલાઇ 2020, મંગળવાર
કોરોનાની મહામારી સામે લડી રહેલી ઇટલી સરકારે લોકડાઉનમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો હતો. યૂરોપના વિભિન્ન દેશોના પર્યટકો માટે ઇટલીના દરવાજા ફરીથી ખુલી ગયા છે. ઇટલીની સરકાર થોડાક જ સમયમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા ઇચ્છી રહી છે. 15 જૂનથી થિયેટર અને સિનેમા પણ ખોલી દેવામાં આવ્યા છે. દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર કેટલાય પ્રકારની યોજનાઓને અમલમાં લાવી રહી છે. અહીં અમે ઇટલીના એક એવા ગામ વિશે જણાવી રહ્યા છે જે ટૂરિસ્ટ્સને આકર્ષિત કરવા માટે ખાસ યોજના લઇને આવ્યા છે.
ઇટલીના દક્ષિણ ભાગમાં આવેલ ખૂબ જ સુંદર ગામ 'સન જીઓવાન્ની (San Giovanni)' ના લોકોએ સામૂહિક રીતે આ યોજનાને અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ ગામની પ્રાકૃતિક સુંદરતાને જોઇને કોઇ પણ મંત્રમુગ્ધ થઇ શકે છે. આ ગામમાં કુલ 550 લોકો રહે છે અને તમામ લોકોએ પરસ્પર સહમતિથી આ નિર્ણય કર્યો છે.
આ યોજના અંતર્ગત જુલાઇથી ઑક્ટોબર વચ્ચે ગામમાં આવનાર યાત્રીઓને હોટલ અથવા રહેવા માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો નહીં પડે. આ યોજના અંતર્ગત, ગામમાં આવનાર ટૂરિસ્ટને ફ્રીમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સુંદર ગામમાં રહેવા માટે તમારે એક પૈસો પણ ખર્ચ કરવો નહીં પડે. આ ગામમાં આ પ્રકારના કેટલાય ઘર છે, જે ઘણા સમયથી ખાલી પડ્યા છે. યોજનાને ધ્યાનમાં રાખતા અહીંના વહીવટીતંત્રએ આ ઘરોની મરમ્મત કરાવીને તેને ટૂરિસ્ટ લોકોના રહેવા યોગ્ય બનાવવાનો નિર્ણય કર્યો હતો, જે કામ હવે પૂર્ણ થઇ ચુક્યુ છે.
એક અઠવાડિયા સુધી ફ્રીમાં રહી શકશો
ટૂરિસ્ટ આ ગામમાં સાત દિવસ સુધી ફ્રીમાં રહી શકે છે. આ યોજનાને Regalati il Molise નામ આપવામાં આવ્યું છે. આ યોજના ગામમાં પર્યટકોને પ્રોત્સાહન આપીને સ્થાનિક અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે શરૂ કરવામાં આવી છે. હજારો યાત્રીઓએ ગામમાં રહેવા માટે અરજી કરી છે.
વહીવટી અધિકારીઓનું માનવું છે કે અહીં આવનાર ટૂરિસ્ટ જે પૈસા રહેવાની વ્યવસ્થા માટે ખર્ચ કરતા હતા તે પૈસા બચાવી શકશે. ટૂરિસ્ટ લોકો તે બચાવેલા પૈસા અહીંની સ્થાનિક વસ્તુઓની ખરીદી કરવામાં ખર્ચ કરવા માટે પ્રેરિત થશે. આ ગામમાં પારંપરિક ઇતાલવી હિલ ટોપ ઘર છે, જેમાં રહેવા માટે વિલેજ એસોસિયેશનને અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી 2,000થી વધારે અરજી મળી છે.
કોરોના સંકટ દરમિયાન ઇટલીએ દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યુ હતુ. ગત ચાર મેથી ઇટલીમાં ફેક્ટ્રી અને પાર્કની સાથે બાર અને રેસ્ટેરોન્ટને પણ ખોલવાની પરવાનગી આપી દીધી છે. ટૂરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઇટલી સરકારે કેટલાય નિર્ણય લીધા છે. કોવિડ-19ના સંક્રમણના કારણે ઇટલી અને ફ્રાન્સ સહિત કેટલાય દેશોમાં ગ્રામીણ પર્યટનમાં ભારે નુકશાન જોવા મળ્યું છે.
12 જૂનથી શરૂ કરવામાં આવેલ આ યોજના બાદથી કુલ 2000 અરજીમાં 5000 પર્યટકોએ અહીં આવવાનો નિર્ણય કર્યો છે. જો તમે પણ આ સુંદર ઇતાલવી ગામમાં ફ્રીમાં રહેવા માટે વિચારી રહ્યા છો તો તમે અહીંના વિલેજ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલ ઇમેલ આઇડી (amicidelmorrutto@gmail.com) પર ઇમેલ મોકલીને માહિતી મેળવી શકો છો.
મેઇલમાં તમારે સન જીઓવાન્ની ગામ પસંદ કરવા માટેનું કારણ દર્શાવવાનું રહેશે. આ સાથે જ તમને આ યોજનાનું લાભ લેવા માટે અરજી કરતી વખતે એક ફૉર્મ પણ ભરવાનું રહેશે. આ ગામમાં રહેવા માટે અરજી કરતા પહેલા તમે તમારા વિસ્તારના COVID-19ના મુસાફરીના નિયમો સાથે ઇટલીની મુસાફરીના નિયમો વિશે માહિતી પણ એકઠી કરો.