કોરોના સંક્રમણથી બચવા માટે કેટલા તાપમાન પર ચલાવશો AC? આ બાબતોનો રાખો ખાસ ખ્યાલ
અમદાવાદ, તા. 26 એપ્રિલ 2020 રવિવાર
દેશમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે હવે ગરમીની સિઝન પણ આવી ગઇ છે. આ વચ્ચે લોકોના ઘરોમાં એર કંડીશનરનો ઉપયોગ પણ ભરપૂર થઇ રહ્યો છે. તેવામાં AC ચલાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે તેને લઇને ગાઇડલાઇન જારી કરી છે. સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં રહેલા ACનું તાપમાન 24થી 30 ડિગ્રી સેંટીગ્રેડ વચ્ચે હોવુ જોઇએ.
સાથે જ સરકારે કહ્યું કે હ્યુમિડિટીની માત્રા 40થી 70 ટકા વચ્ચે હોવી જોઇએ. આ ગાઇડલાઇન ઇન્ડિયન સોસાયટી ઑફ હીટિંગ રેફ્રીજરેટિંગ એન્ડ એર કંડીશનર એન્જીનિયર્સએ તૈયાર કરી છે. તે બાદ કેન્દ્રીય ક નિર્માણ વિભાગએ જારી કરી છે.
20 એપ્રિલથી કેન્દ્ર સરકારની મોટાભાગની કચેરીઓ ખોલી દેવામાં આવી છે. મોટાભાગની ઓફિસોમાં ACનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ધ્યાનમાં લેતા પણ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. ઘરોમાં AC ચલાવતી વખતે તાપમાન ઉપરાંત અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવુ જરૂરી છે.
AC ચલાવતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
- AC ચલાવતી વખતે પંખો પણ ચાલુ રાખો, જેથી રૂમમાં હવાની ગતિ ચાલુ રહે.
- AC વાળા રૂમમાં બારી પણ હોવી જોઇએ. બારી થોડી ખુલ્લી રાખો, જેથી તાજી હવાની અવર-જવર ચાલુ રહે.
- એગ્ઝોસ્ટ ફેન હોય તો તેનો ઉપયોગ કરો, જેથી દૂષિત હવા બહાર જઇ શકે.
- ગરમીની સીઝનમાં પહેલીવાર AC ચાલુ કરતાં પહેલાં તેની સર્વિસ કરાવી લો.
કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે જો લાંબા સમયથી ACનો ઉપયોગ ન કર્યો હોય કો પહેલાં તેની સર્વિસ કરાવી લો. આ ઉપરાંત તે જગ્યા પર વધુમાં વધુ વેન્ટિલેશન હોવુ જોઇએ જેથી તાજી હવાનું સકારાત્મક દબાણ યથાવત રહે.