Gujarat

ચૂંટણી ટાંકણે જ કચ્છમાં ઉમેદવારો- કાર્યકરો બિમાર ઃ શરદી, ઉધરસ અને તાવની બિમારી

By GS Team
22 Nov 20222 mins read
This article was originally published on 22 Nov 2022
ચૂંટણી ટાંકણે જ કચ્છમાં ઉમેદવારો- કાર્યકરો બિમાર ઃ શરદી, ઉધરસ અને તાવની બિમારી

આખો દિવસ લોકસંપર્ક સહિતના પ્રચાર પ્રસારમાં રોકાતા

ઉમેદવારો- કાર્યકરોને ખાવા પીવાના કોઈ જ ઠેકાણા ન હોવાથી તેમજ સતત દોડધામ રહેતી હોવાને કારણે માંદગી ફેલાઈ છતા 'આરામ હરામ હૈ'

ભુજ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ ઢુકડી આવતી જાય છે તેમ તેમ પ્રચાર-પ્રસારમાં સોલિડ કરંટ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાના પ્રચાર માટે હવે આઠેક  દિવસ બાકી હોવાને કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો અને તેમના કાર્યકરો આખો દિવસ પ્રચારની દોડધામમાં લાગી ગયા છે. જો કે અત્યંત મહત્ત્વના સમયે જ મોટી ઉપાધિ આવી પડી હોય કાર્યકરો માંદગીના ખાટલે પટકાયા છે. કચ્છમાં હજુ શિયાળો બરાબર જામ્યો નથી અને ડબલ તુ જોવા મળી રહી છે જેના કારણે માંદા પડવું સ્વાભાવિક છે. બરાબર તેવા સમયે જ ચૂંટણી આવી પડતાં ડબલ તુની સાથે સાથે ઉમેદવારો-કાર્યકરોના ખાવા-પીવાના કોઈ જ ઠેકાણા ન હોવાથી અને સતત દોડધામ રહેતી હોવાને કારણે માંદગીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યારે અનેક ઉમેદવારો અને કાર્યકરો એવા છે જેમને શરદી-ઉધરસ-તાવ-ગળા બેસી જવા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ સર્જાતાં પ્રચારમાં કેવી રીતે પહોંચી વળવું તેનો પડકાર પણ અનેક ઉમેદવારો સામે સર્જાઈ જવા પામ્યો છે. બીજી બાજુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કાર્યકરો અને ટેકાદારોના મેળાવડા પણ વધતાં જતાં હોવાથી વાયરલ ઈન્ફેક્શન અત્યારે મોટી સંખ્યામાં ફેલાઈ જવા પામ્યું છે. બીજી બાજુ ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર-પ્રસાર, લોકસંપર્ક, પદયાત્રા સહિતના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ભોજન લેવાના કોઈ જ ઠેકાણા રહેતાં ન હોવાથી તેમની તબિયત ઉપર અસર પડી રહી છે.

ચૂંટણી ઢુકડી હોવાને કારણે માંદા પડયા બાદ આરામ કરવો શક્ય ન હોવાને કારણે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ડાક્ટરો પાસેથી ઝડપથી સાજા થઈ શકાય તેવી દવા અને જરૃર પડે તો તુરંત ઈન્જેક્શન લઈને પણ પ્રચાર-પ્રસારમાં ઢીલાશ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ડબલ તુને કારણે અત્યારે મોટી સંખ્યામાં લોકો માંદા પડી રહ્યા છે અને અત્યારે દરેક હોસ્પિટલો તેમજ દવાખાનાઓ વાયરલ ઈન્ફેક્શનથી ઉભરાઈ રહ્યા છે બરાબર ત્યારે જ નેતાઓ અને તેમના ટેકેદારો પણ માંદા પડવા લાગતાં પક્ષ માટે મોટો પડકાર પણ સર્જાઈ રહ્યો છે. ચૂંટણીને કારણે નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં જમણવારના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે જેમાં કાર્યકરો તેમજ ટેકેદારોની ફૌજ ઉતરી પડતી હોય છે જેના કારણે એક વ્યક્તિ બીમાર હોય તો તે બીજી વ્યક્તિને ઝડપથી ચેપ લગાડી શકે તેમ હોવાથી બીમારી સતત વધી રહી છે.