ઠાસરાની મામલતદાર કચેરી અરજદારો માટે બંધ : માત્ર ઓનલાઈન નોંધણીથી આવી શકશે
- જિલ્લામાં કિલર કોરોનાએ મોં ફાડતા નિર્ણય લેવાયો
- અરજદારોને આવશ્યક કામ સિવાય કચેરીએ ન આવવા અમલ : બીજી સૂચના ન મળે ત્યાં સુધી કામ બંધ રહેશે
નડિયાદ, તા. 13 જુલાઈ 2020, સોમવાર
ઠાસરા મામલતદાર કચેરીમાં કોરોના સંક્રમણ ન વઘે તે માટે કામગીરી બંધ કરવામાં આવી છે. જેમાં ફક્ત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવી શકાશે. તંત્ર દ્વારા બીજી સૂચના ન મળે ત્યા સુધી કચેરી બંધ રહેશે તેમ જણાવ્યુ છે.
ખેડા જિલ્લાના ઠાસરા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રને કોરોના સંક્રમણ વધતુ અટકાવવા તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. તાલુકાના અરજદારાને આવશ્યક કામ સિવાય કચેરી ન આવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કચેરીમાં આજથી એટીવીટી કેન્દ્રો (જનસેવા કેન્દ્ર)ને લગતી સેવાઓ બંધ કરવામાં આવી છે. જેમાં આવક પ્રમાણપત્રો, ડોમીસાઇલ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનીંગ કાર્ડ તેમજ વિવિધ પ્રકારના સોગંદનામા જેવી અનેક કામગીરી બંધ કરવામાં આવી છે. અરજદારોને અરજન્ટ કામની આવશ્યકતા હોય તો અરજદારે www. digitalgujarat. gov. in વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને કચેરીએ આવવા જણાવ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ કચેરીના વિવિધ વિભાગો બંધ કરવામાં આવ્યા છે. જેથી કોરોના સંક્રમણથી બચી શકાય અને તાલુકામાંં કોરોનાનુ સંક્રમણ વધતું અટકાવવા માટે તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.