Gujarat

જૂનાગઢ કોર્ટ બહાર વકીલોએ લારીમાં શાકભાજી અને ફળો વેંચી કર્યો વિરોધ

By GS Team
23 Jun 20202 mins read
This article was originally published on 23 Jun 2020
જૂનાગઢ કોર્ટ બહાર વકીલોએ લારીમાં શાકભાજી અને ફળો વેંચી કર્યો વિરોધ

- હાલ નોકરી મળે તેમ નથી અને ધંધો કરવાના પૈસા નહીં હોવાથી બાર કાઉન્સીલ પાસે કંઈક અપેક્ષા હોવાનું જણાવતા વકીલો

જૂનાગઢ,તા.23 જૂન 2020, મંગળવાર


રાજય બાર કાઉન્સીલે વકીલોને સહાયના બદલે છ માસ માટે નોકરી ધંધો કરવા છુટ આપી છે. તેના વિરોધમાં આજે જૂનાગઢ કોર્ટ બહાર અમુક વકીલોએ લારીમાં ફળ - શાકભાજી વેંચ્યા હતાં. અને જણાવ્યું હતું કે, હાલ નોકરી મળે તેમ નથી. અને ધંધો કરવાના પૈસા ન હોવાથી બાર કાઉન્સીલ પાસે કંઈક અપેક્ષા છે.

લોકડાઉનના સમયથી કોર્ટ બંધ છે. ત્યારે વકીલોની આર્થિક સ્થિતી કફોડી બની ગઈ છે. વકીલોએ રાજય બાર કાઉન્સીલને રજૂઆત કરી હાલ પ્રેકટીસ બંધ હોવાથી વેલ્ફેર ફંડમાંથી જરૂરિયાતમંદ વકીલોને સહાય આપવામાં આવે એવી મંગણી કરી હતી. પરંતુ રાજય બાર કાઉન્સીલે સહાયના બદલે વકીલોને છ માસ માટે નોકરી- ધંધો કરવા મંજુરી આપી છે.

સહાયના બદલે નોકરી ધંધો કરવા અપાયેલી છુટના વિરોધમાં જૂનાગઢના અમુક વકીલોએ આજે કોર્ટ બહાર લારી રાખી શાકભાજી - ફળનું વેંચાણ કર્યું હતું. આ અંગે એડવોકેટ જયદેવભાઈ જોષીએ જણાવ્યું હતું કે, રાજય બાર કાઉન્સીલે વકીલોને સહાયના બદલે નોકરી - ધંધો કરવા છુટ આપી છે. પરંતુ હાલ નોકરી મળે તેમ નથી. અને ધંધો કરવા પૈસા નથી. એટલે વકીલો રાજય બાર કાઉન્સીલ પાસે કંઈક અપેક્ષા રાખી રહ્યાં છે. ચેરમેન તથા ચૂંટાયેલા ૨૨ સભ્યોને વકીલો સામે જોવા જણાવ્યું હતું.

દર વર્ષે રિન્યુઅલ ફી પેટે ૧૫૦૦ રૂપીયા લેવામાં આવે છે. સી.એમ. દ્વારા વકીલ વેલ્ફેર ફંડમાં પાંચ કરોડ રૂપીયા આપવામાં આવ્યા હતાં. તેમાંથી જે જરૂરિયાત મંદ વકીલો છે તેને સહાય આપવામાં આવે એવી માંગણી કરી હતી. અને ત્યારબાદ વકીલ એકતા ઝીંદાબાદના સુત્રોચ્ચાર કર્યા હતાં.

લોકડાઉન બાદ વેપારીો, શ્રમિકોની કફોડી હાલત થઈ છે. ત્યારે પ્રેકટીસ પણ બંધ થતાં અમુક વકીલો પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાં છે. આજે જૂનાગઢમાં વકીલોએ લારીમાં શાકભાજી ફળ વેંચી વિરોધ કરતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.