તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર પરિણીત શખ્સને 14 વર્ષની કેદ
- માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામમાંથી
- સખત કેદની સજા ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારતી જૂનાગઢ કોર્ટ
જૂનાગઢ, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર
માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામમાંથી તરૂણીને ભગાડી જઇ તેણી પર દુષ્કર્મ કરનાર બોટાદ જિલ્લાના સરવા ગામના પરિણીત શખ્સને કોર્ટે ૧૪ વર્ષની સખત કેદ ઉપરાંત ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
માળીયાહાટીના તાલુકાના આંબલગઢમાં રહેતી એક તરૂણી સ્વામીના ગઢડા ગઇ હતી. ત્યારે ત્યાં રહેતા અને ડ્રાઇવીંગ કરતા બોટાદ તાલુકાના હર્ષદગીરી મનસુખગીરી ગોસ્વામી સાથે પરિચય થયો હતો. બાદમાં બન્નેના મન મળી ગયા હતા અને ફોન પર વાતચીત થતી હતી.
ગત તા. ૨૩-૪-૨૦૧૬ના હર્ષદગીરી ગોસ્વામી આંબલગઢ આવી તરૂણીને ભગાડી ગયો હતો. આંબલગઢ થી વેરાવળ અને ત્યાંથી મોરબી સહિતના સ્થળે લઇ ગયો હતો. આ અંગે તરૂણીના સ્થળે લઇ ગયો હતો. આ અંગે તરૂણીના પિતાએ અપહરણની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન તા. ૨૦-૧૦-૨૦૧૬ ના હર્ષદગીરી તથા તરૂણી ટંકારા નજીકના લજાઇ મળ્યા હતા. ત્યારે તરૂણી ગર્ભવતી હતી. આથી પોલીસે આઇ.પી.સી. ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪, ૬ અને ૮ નો ઉમેરો કર્યો હતો અને તરૂણીએ યુવા વસ્થામાં પગ માંડતા કુંવારી માતા બની હતી.
આ કેસ જૂનાગઢના ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ ટી.ડી. પડીઆએ ૨૭ મૌખિક તથા ૫૬ દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકારી વકીલ એન.કે. પુરોહિતની તથા સામેના પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઇ હર્ષદગીરી ગોસ્વામીને કોર્ટે પોકસો એકટની કલમ ૬ના ગુના માટે તકસીરવાન ઠરાવી ૧૪ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ૫૦ હજાર રૂપિયા દંડ ભરપાઇ કરવા જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે.
આરોપીને કરાયેલી દંડની રકમ જે ભોગ બનનારને વળતર પેટે ચુકવવા સીઆરપીસી ૩૫૭ (એ) હેઠળ તથા ભોગ બનનારને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર થતી રકમ અંગે ડી.એલ.એસ.એ. જૂનાગઢને આ કેસ તાત્કાલિક રિફર કરવા હુકમ કર્યો છે.