જૂનાગઢ મનપામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
- વિસ્તાર વધ્યો નથી પણ ચાર વર્ષમાં ખર્ચની રકમ થઈ ગઈ
- 2016-17માં 4.43 કરોડ, 2018-19માં 6.42 કરોડનો ખર્ચ હતો 2019-20 માં 8 કરોડની જોગવાઈ સામે ઉઠતા સવાલો
જૂનાગઢ, 18 ડીસેમ્બર 2019 બુધવાર
જૂનાગઢ મનપામાં દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવામાં આવે છે. તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ આ કચરા કલેક્શનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની કોંગ્રેસના મહિલા નગરસેવકે આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. મનપાનો વિસ્તાર વધ્યો નથી પણ ચાર વર્ષમાં કચરા કલેક્શનના ખર્ચની રકમ ડબલ થઈ ગઈ છે. જેની સામે સવાલ ઉઠી રહ્યા છે અને પ્રજાના પૈસાનો વ્યય અટકાવવા માટે તથા ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા અંગે એસીબી ઉપરાંત કમિશનર તથા મેયરને રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ મનપા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે. પરંતુ આ કચરા કલેક્શનમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસના મહિલા નગરસેવક મંજુલાબેન પરસાણાએ આક્ષેપ કર્યો છે. ઘન કચરાના નિકાલ, ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ૪,૪૩ કરોડોનો ખર્ચ કરાયો હતો. ૨૦૧૮-૧૯માં ૬,૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન, ઘન કચરાના નિકાલ તથા સેગ્નીગેશન ઓફ વેસ્ટના ખર્ચ પેટે આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આમ ચાર વર્ષમાં જૂનાગઢ મનપાનો વિસ્તાર કંઈ એટલો વધ્યો નથી. તેમ છતાં આ રકમ ડબલ થઈ ગઈ છે. મહિલા નગરસેવકે જણાવ્યું હતું કે વાહન તો સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરનો વિસ્તાર પણ વધ્યો નથી. તેમ છતાં ૨૦૧૬-૧૭માં જે ૪.૪૩ કરોડનો ખર્ચ થયો હતો. તેના માટે આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ આંકડા રેકર્ડ આધારિત છે. આ તમામ ખર્ચ જૂનાગઢની પ્રજાના પરસેવાની કમાણીમાંથી આવતા વેરાના નાણામાંથી ચુકવણી થાય છે. આ ખર્ચની રકમના આંકડા પરથી ભ્રષ્ટાચારે માઝા મુકી હોય તેમ જણાય છે.
આ મુદ્દે મહિલા નગરસેવકે અમદાવાદ લાંચ રૂશ્વત બ્યુરો, મેયર તથા કમિશનરને રજૂઆત કરી પ્રજાના પૈસાનો થતો વ્યય અટકાવવામાં આવે અને ભ્રષ્ટાચારને રોકવામાં આવે એવી માંગ કરી છે.