ઉપરકોટ માટે 25 કરોડ, બે મકબરાની જાળવણી માટે રૂા. 5-5 કરોડ અપાશે
- જૂનાગઢના પ્રવાસન સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર
- જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિ.ના ભવન તથા મનપાના વિકાસ કામોનું ખાત મુર્હુત તથા લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
જૂનાગઢ,તા. 23 નવેમ્બર 2019, શનિવાર
જૂનાગઢમાં આજે મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા યુનિ.ના મુખ્ય બિલ્ડીંગ તથા વિવિધ ભવનનું ખાતમુર્હુત કરાયું હતું. ત્યારબાદ બહાઉદીન કોલેજ ખાતે મનપાના તથા અન્ય કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જૂનાગઢના ઉપરકોટ માટે ૨૫ કરોડ તથા બંને મકબરાની જાળવણી માટે પાંચ-પાંચ કરોડ આપવા જાહેરાત કરી હતી.
જૂનાગઢના ખડીયા રોડ પર આવેલી નરસિંહ મહેતા યુનિ. ખાતે આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુનિ.ના મુખ્ય બિલ્ડીંગ, વિવિધ ભવન તથા લાયબ્રેરીના બિલ્ડીંગનું ખાતમુર્હુત કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી બહાઉદીન કોલેજમાં આયોજીત કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતાં. જયાં જૂનાગઢ મહાપાલિકાની અમૃત સ્કીમ અંતર્ગત ૬૫ કરોડના વિકાસકામનું ખાતમુર્હુત, ભેંસાણ સરકારી કોલેજ તથા તા.પં. કચેરીના નવા બિલ્ડીંગનું તેમજ દુબડી પ્લોટમાં બનેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. તેમજ યુનિ.ના વિદ્યાર્થીઓને પ્રતિક રૂપે ટેબ્લેટ વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના પ્રવાસન સ્થળોના વિકાસ કરવા સરકાર પ્રતિબધ્ધ છે. ઉપરકોટ માટે ૨૫ કરોડ તથા બંને મકબરા માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા આપવા જાહેરાત કરી હતી. તેમજ જૂનાગઢમાં પાણી, ગટર, રસ્તા સફાઈ સહિતની લોકોની સુવિધા માટે રાજય સરકાર જોઈએ તેટલુ ફંડ આપશે. તમામ સવલત અંગે અભ્યાસુ આયોજન કરાશે તેમાં તમામ મદદ સરકાર કરશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ અગાઉ રાજયમાં સાત યુનિ. હતી. આજે ૭૦ યુનિ. છે. તેમ જણાવી રોપ-વે, ગિરનાર જંગલમાં સિંહ દર્શન જેવી વાતો દોહરાવી હતી. અને આજે ખેડૂતો માટે જે ૩૭૯૫ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તે અંગે જાણકારી આપી હતી.