જામનગર: આજે માસ્ક પહેર્યા વિના નીકળનારા વધુ 218 દંડાયા
જા.મ્યુ.કો. દ્વારા કુલ 275 કેસમાં 54,600ની વસુલાત
જામનગર તા. 18 એપ્રીલ 2020, શનિવાર
જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી અને વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાયા પછી આજે સતત ત્રીજા દિવસે પણ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા વધુ 228 દંડાયા છે. આજે ત્રીજા દિવસે કુલ ૨૭૫ કેસ કરાયા હતા. અને તેઓ પાસેથી રૂપિયા 54,600નો દંડ વસૂલાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતીશ પટેલ દ્વારા શહેરી વિસ્તારમાં માસ્ક પહેરીને જ બહાર નીકળવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયા પછી આજે ત્રીજા દિવસે પણ તેની કડક અમલવારી કરવામાં આવી હતી. અને 218 લોકોને માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે પકડી પાડવામાં આવ્યા હતા. જેઓ પાસેથી રૂપિયા 43 હજાર બસો નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ઉપરાંત સોશીયલ ડિસ્ટનસ નહીં જાળવનારા 57 વેપારીઓ પાસેથી પણ રૂપિયા 11,400ના દંડની વસૂલાત કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન કુલ 275 કેસ કરવામાં આવ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા 54,600ના દંડની વસૂલાત થઈ છે.