જામનગરના બ્રેઈન ડેડ યુવાનના અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન
- એમ્બ્યુલન્સને અમદાવાદ સુધી પહોંચાડવા માટે બનાવાયો ગ્રીન કોરીડોર
- અમદાવાદથી સ્પેશ્યલ તબીબોની ટીમે જામનગર આવી બે કિડની અને લીવરને ઓપરેશન મારફતે મેળવી ખાસ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા
જામનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
જામનગર તાલુકાના મોટી ખાવડી ના એક યુવાનને વાહન અકસ્માતમાં બ્રેઈન હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી બ્રેઈન ડેડ થઈ ગયા પછી તેના પરિવારજનો દ્વારા અંગદાનની જાહેરાત કરવામાં આવી હતી અને અમદાવાદના સ્પેશિયલ તબીબોની ટુકડી જામનગર આવી પહોંચી હતી અને બ્રેઈન્ડેડ યુવાનના શરીરમાંથી બે કીડની અને લીવરને ઓપરેશન મારફતે મેળવી લઈ તબીબોની ટુકડી સ્પે.એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રવાના થઈ ગઈ છે. અને ત્રણ વ્યક્તિને નવજીવન મળશે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતા અને ભંગાર ની મજૂરી કરતા દિનેશ વલ્લભભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષના યુવાનને શુક્રવારે મોટીખાવડી ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલા એક રિક્ષા છકડાના ચાલકે ટક્કર મારી દેતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને હેમરેજ થઈ ગયું હતું.
જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા પછી શનિવારે મોડીરાત્રે તેને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયો હતો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન હોસ્પિટલના તબીબોની બ્રેઈનડેડ સમજાવટ પછી પરિવારજનો અંગ દાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા. અને જિલ્લા કલેકટર ની મધ્યસ્થીથી બ્રાન્ડેડ યુવાનના અંગદાન કરવાનો નિર્ણય વહીવટી મંજૂરી મેળવી લેવામાં આવી હતી.
જેના આધારે અમદાવાદના પાંચ તજજ્ઞા તબીબોની ટુકડી આજે વહેલી સવારે જામનગર આવી પહોંચી હતી અને સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી બે કલાકના સમયગાળા દરમિયાન ઓપરેશન હાથ ધરી બ્રઈનડેડ યુવાન દિનેશના શરીરમાંથી બે કિડની અને એક લીવર કાઢી લેવાયા હતા, અને સ્પેશિયલ બોક્સમાં મૂકીને અમદાવાદ થી જ આવેલી સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રવાના કરી દેવાયા હતા.
જિલ્લા પોલીસ વડા દ્વારા અંગ દાન પછી અમદાવાદ તરફ જઇ રહેલી એમ્બ્યુલન્સને ઝડપભેર જામનગર થી બહાર નીકળવા માટે કોરિડોર બનાવી દેવામાં આવ્યો હતો જે અમદાવાદની ટુકડી બપોર સુધીમાં અમદાવાદ પહોંચી ગયા પછી ત્રણ વ્યક્તિને નવસારીમાં ત્રણ અલગ અલગ વ્યક્તિના શરીરમાં બે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બ્રેઈનડેડ યૂવાનના અંગદાન થી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.
યુવાનના ત્રણ માસુમ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
જામનગરના તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતો અને ભંગાર વેચવા ની મજૂરી કરતો દિનેશ વલ્લભભાઈ વાઘેલા નામનો ૩૦ વર્ષનો યુવાન વાહન અકસ્માતનો શિકાર બન્યો હતો. યુવાન પોતાની પત્ની પારૂબેન ઉપરાંત ત્રણ સંતાનો અજય (ઉં.વ. ૬) પૂજા (ઉં.વ. ૪) અને રવિ (ઉં.વ.૨) સાથે રહેતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.અકસ્માતના બનાવ પછી તે ત્રણ વ્યક્તિને જીવતદાન આપતો ગયો છે પરંતુ તેના ત્રણ સંતાનો નોંધારા બની જતા ભારે અરેરાટી ફેલાઈ છે. અકસ્માત સર્જનાર રિક્ષા છકડા ચાલક ભાગી છૂટયો હોવાથી મેઘપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા છકડા ચાલકની શોધખોળ હાથ ધરી છે.