જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં એક કારખાનામાં થયેલી પિત્તળની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો
Updated: Aug 26th, 2023
- જામનગરના એક ટાબરીયા સહિતની તસ્કર ત્રિપુટીની અટકાયત કરી લઈ પિત્તળ કબજે લેવાયું
જામનગર,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા બ્રાસપાટના એક કારખાનામાં બે દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને ચોરાઉ મુદ્દા માલ સાથે તસ્કર ત્રિપુટીની અટકાયત કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા બાસપાટના એક કારખાનામાંથી તાજેતરમાં પિત્તળના માલ સામાનની ચોરી થયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ નોંધાવાઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને મહત્વની સફળતા સાંપડી છે, અને હ્યુમન સોર્ષના આધારે તેમજ સ્થાનિક સીસીટીવી વગેરે કેમેરાઓ ચેક કર્યા પછી તસ્કર ત્રિપુટીની અટકાયત કરી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ હરિભાઈ હોટલ વાળી શેરીમાં રહેતા મુકેશ ઉર્ફે મુકલો કારાભાઈ રાઠોડ તેમજ વિક્રમભાઈ પરમાર અને એક ટાબરીયાની અટકાયત કરી લેવામાં આવી છે. જેઓ પાસેથી પિત્તળનો માલ સામાન પણ કબજે કરી લેવામાં આવ્યો છે.