જામનગરમાં ભોજન વિતરણ કરતી સંસ્થાઓને SPની ચેતવણી
- અંતર જાળવવામાં નહીં આવે તો પરવાનગી કરાશે રદ: FIR પણ કરાશે
જામનગર તા. 06 એપ્રીલ 2020, મંગળવાર
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થા વગેરે કરવામાં આવે છે. આ વિતરણ વ્યવસ્થા સમયે અનેક સ્થળોએ લોકોના ટોળા એકત્ર થઇ જાય છે. અથવા તો ભીડ જોવા મળે છે. અને લોક ડાઉન નાં નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જામનગરની જુદી જુદી સંસ્થાઓ આ પ્રકારની કામગીરી કરે છે તે અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું છે. પરંતુ પ્રત્યેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે જ ભોજન સામગ્રી વિતરણ કરવાની અપીલ કરવામાં આવી છે. તેમ છતાં પણ જો આ મામલે તકેદારી રાખવામાં નહીં આવે તો તે સંસ્થા ની મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી નાખવામાં આવશે, અને જરૂર જણાશે તો આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.