જામનગરમાં પોત-પોતાના વિસ્તારને સ્વયંભૂ 'સીલ' કરતા રહેવાસીઓ
- અવરજવર કરાવાઇ બંધ .
- ક્યાંક બેરીકેટ તો ક્યાંક દોરડા બંધાયા, ક્યાંક બેનર લગાડાયા તો ક્યાંક વાહનો આડા મુકી દેવાયા
જામનગર, તા. 09 મે 2020, શનિવાર
જામનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટયો છે, ત્યારે લોકોમાં સ્વયંભૂ જાગૃતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ કે પોતાના એરીયામાં કોઈ બહારથી કોરોના સંક્રમિત વ્યક્તિ આવી ન જાય, તેની તકેદારીના ભાગરૂપે પોતાના એરીયા જાતે જ સીલ કરવા માંડયા છે.
જામનગરના રણજીત રોડ પર રાજગોર ફળી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ પોતાનો એરીયા જાતે જ સીલ કર્યો છે. પોતાની શેરીના પ્રવેશ દ્વારમાં બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. અને તેના ઉપર બેનર પણ લગાવી દેવામાં આવ્યું છે.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ જાતે જ પોતાના એરીયાઓ સીલ કરવા માંડયા છે. અને બહારના લોકોને પ્રવેશવા દેતા નથી. કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે લોકો જાતે જ સજાગ બન્યા છે.
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તાર, કડીયાવાડ વિસ્તાર, ગિરધારી મંદિર, પંજાબ બેંક રોડ, લાલા મહેતાની શેરી, દેવબાગ નો વિસ્તાર, આણદાબાવાનો ચકલો સહિતના વિસ્તારોમાં લોકોએ પોતાના એરીયા સ્વયંભૂ બંધ કરી દીધા છે. અને બેનર- પોસ્ટર લગાવ્યા છે. અથવા તો વાહનો તેમજ અન્ય સામગ્રી મૂકી દઈ અવર-જવર માટેના રસ્તાઓ બંધ કરી દીધા છે.