જામનગરમાં જનતા કરફ્યુને જબરૂ સમર્થન: લોકોએ સ્વયંભૂ સજજડ બંધ પાડ્યો
- સમગ્ર જિલ્લાભરમાં પણ જનતા કરફ્યુની વ્યાપક અસર, તમામ માર્ગો સુમસામ
જામનગર, તા. 22 માર્ચ 2020 રવિવાર
કોરોના વાયરસને લઈને સાવચેતીના પગલાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કરફ્યુ અંગે કરાયેલી અપીલના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લામાં લોકોએ સ્વયંભૂ બંધ પાડીને જનતા કરફ્યુને જોરદાર સમર્થન આપ્યું છે.
જામનગર શહેરમાં તમામ પ્રકારના રોજગાર ધંધા વગેરે બંધ રહ્યા હતા અને માર્ગો સુમસામ જણાતા હતા. તેમજ લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
જામનગર જિલ્લામાં પણ બંધની વ્યાપક અસર રહી હતી અને સમગ્ર જિલ્લાએ બંધ પાળીને વાયરસની લડાઈને પૂરતું સમર્થન આપ્યું છે.
જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ બંધની વ્યાપક અસર જોવા મળી હતી અને શહેરની તમામ બજારો અને રોજગાર ધંધા સંપૂર્ણપણે બંધ રહ્યા છે. સાથોસાથ તમામ લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કરતા શહેરના તમામ માર્ગો વહેલી સવારે સાત વાગ્યાથી જ સુમસામ જણાતા હતા. ક્યાંક કોઇ એકલદોકલ રાહદારી અથવા તો વાહન ચાલક નજરે પડતું હતું પરંતુ સમગ્ર દિવસ દરમિયાન એક પણ વેપાર ધંધા કે દુકાનો ખૂલી જોવા મળી ન હતી અને જનતા કરફ્યુની વડા પ્રધાનની અપીલને જોરદાર સમર્થન આપ્યું છે.
જામનગર શહેર ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી છે અને સમગ્ર જિલ્લાની જનતાએ કોરોના વાયરસની લડાઈ માટે પૂરતું સમર્થન આપ્યું છે અને લોકોએ ઘરમાં જ રહીને જનતા કરફ્યુની અમલવારી કરી છે. સમગ્ર જિલ્લાભરના મુખ્ય માર્ગો સુમસમ જોવા મળ્યા હતા.
સાથે સાથે જામનગરનું પોલીસ તંત્ર તેમજ સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર રાબેતા મુજબ પોતાની સેવા કાર્યમાં જોડાયેલુ રહ્યું હતું. જી.જી.હોસ્પિટલના તબીબોની ટીમ તેમજ અન્ય આરોગ્ય સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી.