Jamnagar

જામનગરમાં પણ મેઘરાજાનું આગમન ના થતા જગતના તાત ચિંતિત, નર્મદાના નીર અને 'સૌની યોજના' થકી પાણી છોડવા ઉગ્ર માગ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ચોમાસું ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જૂનના અંત સુધીમાં વરસાદ ન આવતા નદી-નાળા સૂકાઈ ગયા છે. કપાસ-મગફળી સહિતના આગોતરા વાવેતર કરેલા પાકો સુકાઈ રહ્યા છે. પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતોએ નર્મદા કેનાલ ખોલી 'સૌની યોજના' હેઠળ પાણી છોડવા સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પણ મેઘરાજાનું આગમન ના થતા જગતના તાત ચિંતિત, નર્મદાના નીર અને 'સૌની યોજના' થકી પાણી છોડવા ઉગ્ર માગ

Jamnagar : સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ માસ દસ્તક દઈ રહ્યો હોવા છતાં આકાશમાંથી વરસાદનો એક છાંટો પણ ન પડતાં જગતનો તાત ભારે ચિંતાતુર બન્યો છે.

જામનગર જિલ્લામાં પણ મેઘરાજા સમયસર ન પધારતા નદી, નાળાં અને ચેકડેમો સંપૂર્ણપણે સુકાઈ ભઠ્ઠ થઈ ગયા છે અને ખેડૂતોના પશુઓ માટેના ઘાસચારાની પણ તીવ્ર અછત સર્જાઈ છે. અનેક ખેડૂતો હજુ પણ વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ, જે ખેડૂતોએ વરસાદની આશાએ કપાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી દીધું હતું, તેઓની હાલત અત્યંત કફોડી બની છે. પાણી વિના ખેતરોમાં ઊભો આગોતરો પાક હવે ચીમળાઈને સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે.

વરસાદ ખેંચાવાની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મરવા પડેલા આગોતરા પાકોને બચાવવા અને પશુઓને જીવાડવા માટે ખેડૂતોને હવે નર્મદાના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્યના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલના દરવાજા ખોલીને તેમજ 'સૌની યોજના' હેઠળ સૂકી નદીઓ અને કેનાલોમાં નર્મદાના નીર વહેવડાવવા માટે ઉગ્ર માગ કરી રહ્યા છે.

ખેડૂતોની આટલી વિકટ સ્થિતિ હોવા છતાં સરકાર જાણે 'પાણીમાં બેઠી હોય' તેવી નિષ્ક્રિયતા દાખવી રહી હોવાનો જગતના તાતમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. જો સત્વરે સિંચાઈ માટે કેનાલો મારફતે પાણી પૂરું પાડવામાં નહીં આવે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, તેથી સરકાર તાત્કાલિક જાગે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી માંગ પ્રબળ બની છે.