જામનગરમાં બાઈક લઈને નીકળેલા લોકો ઘરમાં નહીં રહે તો બાઈક ઉપર પણ આવી શકે છે પ્રતિબંધ
જામનગર, તા. 26 માર્ચ 2020, ગુરુવાર
જામનગર શહેરમાં લોક ડાઉન ચાલુ છે તેમ છતાં પણ કેટલાક લોકો જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને બિનજરૂરી રીતે મોટરસાયકલ પર નીકળી રહેલા જોવા મળે છે. અને અનેક વખત સમજાવટ છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હોવાનું જાણવા મળતાં જિલ્લા કલેક્ટરે નારાજગી વ્યક્ત કરી છે, અને જો લોકો ઘરમાં નહીં રહે તો શહેરમાં બાઈક ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે.
જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવા સૂચના અપાઈ રહી છે. પરંતુ તંત્રની અમલવારી નું જરાય પણ પાલન થતું ન હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે જીલ્લા કલેક્ટર જાતે જ શહેરના રાઉન્ડમાં નિકળ્યા હતા ત્યારે અનેક વિસ્તારોમાં કેટલાક બાઇકચાલકો ડબલ સવારી અથવા તો ત્રણ સવારીમાં પણ જોવા મળ્યા હતા.
જેઓ બિનજરૂરી રીતે બહાર નીકળ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ પણ ઊભા કરાયા છે, તેવા સ્થળે પણ પૂછપરછ દરમિયાન બિનજરૂરી બાઈક સવારો નીકળેલા જોવા મળ્યા હતા. જેઓને પરત ઘરે મોકલવાની સલાહ આપવામાં આવી હતી. જોકે અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા આવા વાહન ચાલકોના બાઇક પણ ડીટેઈન કરી લેવાયા છે.
પરંતુ લોકો માનતા નથી એને ઘરની બહાર નીકળી રહ્યા છે કેટલાક બાઇકચાલકો તો સેવાના બહાને થર્મોસ માં ચા આપવાના બહાને બહાર ફરી રહ્યા છે. તેવું પણ જાણવા મળ્યું હતું. જેથી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોઈ લોકોને ઘરની બહાર નહીં નીકળવા કડક સૂચના અપાઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયું છે કે જો આવા લોકો ઘરની બહાર નીકળવાનું બંધ નહીં કરે તો જામનગર શહેરમાં બાઈક ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવશે તેવી આખરી ચેતવણી આપવામાં આવી છે.