ખંભાળિયા પંથકના 143 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને બસ મારફત અન્ય સ્થળે વિનામૂલ્યે મોકલવામાં આવ્યા
જામ ખંભાળિયા, તા. 28 માર્ચ 2020 શનિવાર
ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં મજુરી કામ અર્થે આવેલા શ્રમીકોને હાલની પરિસ્થિતિમાં તેમના વતન સુધી પહોંચે તે માટેની ખાસ વ્યવસ્થા સરકારી તંત્ર તથા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયા પંથકના જુદા જુદા ગામડામાં મજુરી કામ અર્થે મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે સ્થળોએથી અત્રે મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ આવે છે. હાલ અહીં લોક ડાઉન તથા બંધની પરિસ્થિતિમાં તેઓ અહીં કામ કરી શકતા નથી.
પરિવાર બાળકો સાથે આવેલા શ્રમિકો તેઓના વતન સુધી પહોંચે તે માટેની માંગ ઉઠી હતી. આથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ બાબતે અહીંના એસ.ટી. ડેપો મેનેજરને જાણ કરતા ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તથા સ્ટાફ દ્વારા આ શ્રમિકોને તેમના વતન સુધી પહોંચે તે માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંતર્ગત ખંભાળિયા થી આશરે 40 કિલોમીટર દૂર નંદાણા ગામ નજીક થી એક તથા જામનગર રોડ પરના આરાધનાધામ પાસેથી બે બસ મળી કુલ ત્રણ બસ મારફતે કુલ 143 શ્રમીકોને ગતરાત્રીના આશરે દોઢ વાગે અહીંથી રવાના કરવામાં આવ્યા હતા.
આ શ્રમિકોને કોઈપણ જાતની ટિકિટ વગર વિના મુલ્યે ઝાલોદ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા બસ મારફતે એસ.ટી. ડેપો મેનેજર થતા સ્ટાફ દ્વારા કરવામાં આવતા આ ગરીબ પરિવારોએ રાહતની લાગણી અનુભવી હતી.