Pakistan Army Officer Killed in TTP Attack: વર્ષ 2019માં બાલાકોટ હવાઈ હુમલા દરમિયાન ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની અધિકારીનું અવસાન થયું છે. પાકિસ્તાની તાલિબાનના હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહનું મૃત્યુ દક્ષિણ વઝીરિસ્તાનના સરૌધામાં ટીટીપી (તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયું હોવાના અહેવાલ છે.
બુધવારે પાકિસ્તાની સંસદમાં મેજર શાહને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
મેજર શાહ વિંગ કમાન્ડર વર્ધમાનને પકડ્યા પછી ચર્ચામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, '24 જૂન 2025 ના રોજ, સુરક્ષા દળોએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના સરૌધા વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાયક જિબ્રાન માર્યા ગયા હતા. તેમજ પાકિસ્તાની સેનાએ 11 TTPના સભ્યોનું એન્કાઉન્ટર કર્યું હતું.' બુધવારે પાકિસ્તાની સંસદમાં પણ મેજર શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનના ચકવાલના રહેવાસી હતા અને SSG એટલે કે સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો ભાગ હતા.
બાલાકોટ એરસ્ટ્રાઈક
14 ફેબ્રુઆરી, 2019ના રોજ જ્યારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ CRPFના કાફલાને નિશાન બનાવ્યો, ત્યારે આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા.
આના જવાબમાં, ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં JeM ના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો. તેને ભારતમાં બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં જૈશના ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા.
આ પણ વાંચો: યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઈઝરાયલના 'જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી, 3ને ફાંસી, 700ની ધરપકડ
બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન વાયુસેનાએ બદલો લેવાનો પ્રયાસ કર્યો અને ભારતીય એર સ્પેસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન શ્રીનગરના 51 સ્ક્વોડ્રનમાં તૈનાત હતા અને મિગ-21 બાઇસન ઉડાડી રહ્યા હતા. તેમણે PAF F-16 ફાઇટર પ્લેનને નિશાન બનાવ્યું.
આ દરમિયાન, તેમના વિમાનને નિશાન બનાવવામાં આવ્યું અને તેઓ પાકિસ્તાની એર સ્પેસમાં પહોંચી ગયા. ત્યાં, તેમને પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા. જોકે, થોડા સમય પછી પાકિસ્તાને તેમને છોડી દીધા.



