World

અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ, વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

By GS Team
26 Aug 20253 mins read
This article was originally published on 26 Aug 2025
TukuTouch Logo
અમેરિકાના ટેરિફ સામે ભારત માટે રશિયા એક ઢાલ બનીને ઊભરી રહ્યું છે. રશિયા, યુક્રેન સાથેના યુદ્ધને કારણે મજૂરોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા દૂર કરવા માટે તે હવે ભારત જેવા એશિયન દેશોમાંથી શ્રમિકોને બોલાવી રહ્યું છે. જેના કારણે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ, વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

India-Russia Relations: અમેરિકાના ટેરિફ સામે ભારત માટે રશિયા એક ઢાલ બનીને ઊભરી રહ્યું છે. રશિયા, યુક્રેન સાથેના યુદ્ધને કારણે મજૂરોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા દૂર કરવા માટે તે હવે ભારત જેવા એશિયન દેશોમાંથી શ્રમિકોને બોલાવી રહ્યું છે. જેના કારણે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. 

ભારતીયો માટે રશિયામાં રોજગારીના નવા દરવાજા ખુલ્યા

રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે તાજેતરમાં રશિયન સમાચાર એજન્સી TASSને જણાવ્યું કે, 'રશિયન કંપનીઓ ખાસ કરીને મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ભારતીય શ્રમિકોને નોકરી આપવા માટે ખૂબ રસ દાખવી રહી છે. બીજી તરફ, ભારતમાં મોટી સંખ્યામાં યુવાનોને સારી નોકરીની જરૂર છે, પરંતુ તેમને યોગ્ય તકો મળતી નથી. આવી સ્થિતિમાં, રશિયામાં રોજગારના નવા દરવાજા ખુલવાથી ભારતીય પરિવારોને લાભ થશે. 

રશિયામાં ભારતીય શ્રમિકોની વધતી સંખ્યા

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના આંકડા મુજબ, 2021થી 2024 દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે 5,480થી વધીને 36,208 થઈ ગયો છે. આનાથી રશિયામાં શ્રમિકોની જરૂરિયાત અને ભારતીય કામદારોની માંગ સ્પષ્ટ થાય છે. રશિયામાં ભારતીય કામદારો મુખ્યત્વે બાંધકામ અને કાપડ ઉદ્યોગમાં કામ કરે છે, પરંતુ હવે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ-કુશળ ક્ષેત્રોમાં પણ તેમની માંગ વધી રહી છે.

ભારતીય દૂતાવાસો પર દબાણ વધ્યું

રશિયાને કુશળ શ્રમિકોની જરૂર છે અને ભારત પાસે તે ઉપલબ્ધ છે. રશિયાના નિયમો અને ક્વોટા હેઠળ ભારતીયોને ત્યાં નોકરીઓ મળી રહી છે. જોકે, ભારતીય શ્રમિકોની વધતી સંખ્યાને કારણે દૂતાવાસો પર પાસપોર્ટ રિન્યુઅલ અને અન્ય સેવાઓનું દબાણ વધ્યું છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ભારતે રશિયામાં નવા વાણિજ્ય દૂતાવાસો ખોલવાની યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન યેકાતેરિનબર્ગ અને કઝાનમાં નવા દૂતાવાસો ખોલવાની જાહેરાત કરી હતી, જેથી મુસાફરી અને વેપારને સરળ બનાવી શકાય.

રશિયામાં કામદારોની અછત

યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયામાં કામદારોની ભારે અછત સર્જાઈ છે. યુદ્ધ માટે સૈનિકોની મોટી ભરતી અને રશિયન નાગરિકોના દેશ છોડી જવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાને ઉકેલવા માટે, રશિયાએ 2024માં સરકારી ક્વોટા કરતાં પણ વધુ એટલે કે 47,000 વિદેશી કામદારોની ભરતી કરી. આ કામદારોમાં ચીન, ભારત, તૂર્કિયે અને સર્બિયા જેવા દેશોના લોકોનો સમાવેશ થાય છે. રશિયાએ 2025 માટે ભારતીય કામદારો માટે 71,817 વર્ક પરમિટનો ક્વોટા નક્કી કર્યો છે.

રશિયન કંપનીઓનો ભારતીય કામદારો પર ભાર

રશિયામાં શ્રમિકોની અછતને કારણે, ઘણી રશિયન કંપનીઓ ભારતીય કામદારોની ભરતી કરી રહી છે. ઉદાહરણ તરીકે, બાંધકામ ક્ષેત્રની કંપની 'સમોલ્યોટ ગ્રુપ' અને 'રીટેલ જાયન્ટ X5 ગ્રુપ' જેવી કંપનીઓએ ભારતીય કામદારોને નોકરી આપી છે. વેલ્ડર, કોંક્રિટ વર્કર, ફિનિશર અને કૃષિ ક્ષેત્ર જેવા કામોમાં ભારતીય કામદારોની માંગ વધી રહી છે. જોકે, ભાષા અને સાંસ્કૃતિક તફાવતને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ રશિયામાં શ્રમની અછતને દર્શાવે છે.

આ પણ વાંચો: મોંઘો થઈ જશે iPhone? ડિજિટલ ટેક્સ મુદ્દે અમુક દેશો પર ભડકેલા ટ્રમ્પે જુઓ શું ધમકી આપી

રશિયાનું એશિયાઈ દેશો તરફ ધ્યાન

રશિયા હવે માત્ર ભારત જ નહીં, પરંતુ મ્યાનમાર, શ્રીલંકા અને ઉત્તર કોરિયા જેવા અન્ય એશિયાઈ દેશોમાંથી પણ કામદારો લાવવાની યોજના બનાવી રહ્યું છે. 'ઉરલ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી'ના પ્રમુખ આન્દ્રે બેસેડિને તાજેતરમાં દાવો કર્યો હતો કે 2025ના અંત સુધીમાં રશિયામાં 10 લાખ ભારતીય કામદારો આવી શકે છે. જોકે, રશિયન શ્રમ મંત્રાલયે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે આ આંકડો સચોટ નથી અને વિદેશી કામદારોની ભરતી ક્વોટા પ્રણાલી હેઠળ જ થશે.

ભારત-રશિયા સંબંધોને પ્રોત્સાહન

ભારતીય કામદારોની વધતી માંગ માત્ર રશિયાની શ્રમ જરૂરિયાતોને પૂરી નથી કરી રહી, પરંતુ ભારત અને રશિયા વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધોને પણ મજબૂત કરી રહી છે. વડાપ્રધાન મોદીની તાજેતરની રશિયા મુલાકાત અને નવા વાણિજ્ય દૂતાવાસોની સ્થાપના જેવા પગલાં બંને દેશો વચ્ચે વેપાર અને લોકોની અવરજવર વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે.