Get The App

ખામેનેઈને મારી નાખતા પણ નહીં ખચકાઈએ...' ઈરાન પર આટલી હદે કેમ ભડક્યું છે ઈઝરાયલ?

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ખામેનેઈને મારી નાખતા પણ નહીં ખચકાઈએ...' ઈરાન પર આટલી હદે કેમ ભડક્યું છે ઈઝરાયલ? 1 - image


Israel-Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના ટોચના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાની સંભાવનાને નકારી શકાય નહીં. વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખામેનેઈને ટાર્ગેટ બનાવી શકે છે. આ યુદ્ધ ત્યાં સુધી સમાપ્ત નહીં થાય, જ્યાં સુધી ઈરાન સ્વેચ્છાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ રદ નહીં કરે. જો તેણે રદ ન કર્યો તો અમે તેને ફરીથી શરૂ કરવા લાયક છોડીશું નહીં.

ઈઝરાયલની પ્રતિષ્ઠિત સમાચાર ચેનલ ચેનલ12માં પણ એક રાજકીય સૂત્રના અહેવાલે જણાવાયુ હતું કે, ખામેનેઈની હત્યાનો વિકલ્પ નકારી શકાય નહીં. જો કે, તે અનેક સ્થિતિઓ પર નિર્ભર છે. ઈઝરાયલે ગત સપ્તાહે ઓપરેશન રાઈજિંગ લાયન નામની સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સૈન્ય મથકો પર મોટા હુમલા કર્યા હતાં. જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ, વાયુસેનાના કમાન્ડર, અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ સહિત અનેક ટોચના અધિકારીઓ તેમજ પરમાણુ વિજ્ઞાનીઓ માર્યા ગયા હતાં. ઈઝરાયલી હુમલાએ ઈરાનના નતાંજ યુરેનિયમ એનરીચમેન્ટ સેન્ટરને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. 

ઈરાનના સર્વોચ્ચ નેતા પર હુમલાની ચીમકી

ઈઝરાયલ આ પ્રકારના નિવેદનો આપી સંકેત આપી રહ્યું છે કે, તેનો લક્ષ્ય હવે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સુધી સીમિત રહ્યો નથી. તેના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, તે ઈરાનને પોતાના નેતૃત્વ અને સૈન્ય ઢાંચાને પુનઃસ્થાપિત કરવા સક્ષમ રાખશે નહીં. ઉલ્લેખનીય છે, બંને દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલે પ્રથમ વખત ખામેનેઈ જેવા ટોચના રાજકીય અને ધાર્મિક નેતા પર હુમલાની સંભાવના ખુલ્લેઆમ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા, ભારત કોની તરફેણમાં?

ભારે કિંમત ચૂકવવી પડશેઃ ઈરાન

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈએ જણાવ્યું કે, અમે આ દુઃસાહસિક અને ઘાતક હુમલાનો આકરો જવાબ આપીશું. ઈઝરાયલે માઠા પરિણામ ભોગવવા પડશે. ઈઝરાયલના હુમલા પર વળતો પ્રહાર કરતાં ઈરાને તેલ અવીવ અને હાઈફા શહેરમાં 100થી વધુ ડ્રોન છોડ્યા હતાં. જેના લીધે તેલ અવીવમાં રહેણાંક વિસ્તારને નુકસાન થયુ હતું. ડઝનથી વધુ નાગરિકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

 યુદ્ધની સ્થિતિ વણસી

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર આક્રમક કામગીરીને ધ્યાનમાં લેતાં ઈઝરાયલ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત બન્યું છે. અમેરિકા, ઈઝરાયલ ઈરાનને આ કાર્યક્રમ મામલે ડીલ કરવા મનાવી રહ્યા છે. પરંતુ ઈરાને કોઈ સ્પષ્ટ સંકેત ન આપતાં ઈઝરાયલ દ્વારા હુમલાઓ શરૂ થયા છે. બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. જેનાથી ક્ષેત્રીય અને વૈશ્વિક સંકટ ઉભુ થયું છે.

ખામેનેઈને મારી નાખતા પણ નહીં ખચકાઈએ...' ઈરાન પર આટલી હદે કેમ ભડક્યું છે ઈઝરાયલ? 2 - image

Tags :