Bangladesh PM Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે (ICT) આજે ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. શેખ હસીના પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા અને મોત માટે માનવતા વિરુદ્ધ અપરાધના દોષિત માનવામાં આવ્યા છે. આ નિર્ણય માત્ર શેખ હસીનાના રાજકીય અસ્તિત્વ માટે જ નહીં પરંતુ તેમના પક્ષ 'બાંગ્લાદેશ આવામી લીગ' પર પણ જોખમ વધ્યું છે. હસીના અને તેમના પક્ષ પાસે તેમના રાજકીય ભવિષ્યને બચાવવા માટે કયા વિકલ્પો બચ્યા છે, તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ‘શેખ હસીનાને અમને સોંપી દો’ ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર
ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) શેખ હસીનાને આપવામાં આવેલી ફાંસીની સજા સામે ટેકનીકલ રીતે અપીલ કરવાનો વિકલ્પ છે, પરંતુ તેના માટેની શરતો અત્યંત કડક છે. ICT એક્ટની કલમ 21 હેઠળ, મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને ચુકાદાની તારીખથી 30 દિવસની અંદર ધરપકડ કરવી પડશે અથવા કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તે પછી જ ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના નિર્ણય સામે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં અપીલ દાખલ કરી શકે છે.
શેખ હસીના પાસે હવે કયો વિકલ્પ બચ્યો
શેખ હસીનાના મામલે છેલ્લી તારીખ 17 ડિસેમ્બર, 2025 છે. જો તેઓ આ તારીખ સુધીમાં બાંગ્લાદેશી કોર્ટમાં આત્મસમર્પણ નહીં આપે અથવા શરણાગતિ નહીં આપે, તો અપીલ કરવાનો કાનૂની અધિકાર આપમેળે સમાપ્ત થઈ જશે અને મૃત્યુદંડ અંતિમ બની જશે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને 60 દિવસની અંદર અપીલ પર પોતાનો નિર્ણય આપવો જરૂરી છે, એટલે કે હસીનાના કેસમાં આ તારીખ 15 ફેબ્રુઆરી, 2026 સુધી હોઈ શકે છે.
આવામી લીગના રાજકીય અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે
શેખ હસીનાએ ICT ને 'બનાવટી અને કઠોર કઠપૂતળી અદાલત' ગણાવી છે. હાલમાં તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. એટલે તેઓ બાંગ્લાદેશ પરત ફરીને ત્યાંની અદાલતમાં શરણાગતિ સ્વીકારે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. જો આવું નહીં થાય તો હસીનાનું રાજકીય પુનરાગમન વર્ચ્યુઅલ રીતે અશક્ય બનશે, પરંતુ સમગ્ર અવામી લીગ પરના પ્રતિબંધને પડકારવાનો કાનૂની માર્ગ પણ કાયમી ધોરણે બંધ થઈ જશે. એટલે તેનો અર્થ એ છે કે આગામી 30 દિવસ હસીના અને આવામી લીગના રાજકીય અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
શેખ હસીનાએ ICTને 'બનાવટી અદાલત' ગણાવી
શેખ હસીનાએ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને પક્ષપાતી, રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય 'બનાવટી અને કહેવાતી અદાલત' તરફથી આવ્યો છે જેનો કોઈ આદેશ નથી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ 5 ઓગસ્ટ, 2024 ના રોજ આવામી લીગના વડા શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે.
'હું આ આરોપોને સંપૂર્ણપણે નકારું છું'
શેખ હસીના પર લગાવવામાં આવેલા આરોપોને નકારતા તેમણે કહ્યું કે, 'હું આ આરોપોને સંપૂર્ણપણે નકારું છું. મારી ગેરહાજરીમાં મારી સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી, અને મને ન તો મારો બચાવ કરવાની તક આપવામાં આવી હતી અને ન તો મને મારી પસંદગીના વકીલ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. દુનિયાનો કોઈ પણ આદરણીય અને વ્યાવસાયિક કાનૂની નિષ્ણાત બાંગ્લાદેશ માટે આ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલને માન્યતા આપશે નહીં. તેમનો ઈરાદો બાંગ્લાદેશના છેલ્લા ચૂંટાયેલા વડા પ્રધાનને દૂર કરવાનો અને આવામી લીગને રાજકીય રીતે નષ્ટ કરવાનો છે.'


