Volodymyr Zelenskyy On Putin : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ક્રિસમસની રાત્રે યુક્રેનની જનતાને સંબોધિત કર્યા હતા. તેમણે દેશને સંબોધિત કરતી વખતે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું નામ લીધા વગર તેમના મોતની કામના કરી હતી. તેમણે કહ્યું કે, 'સ્વર્ગના દરવાજા ખુલી ગયા, ભગવાન કરે તેઓ મરી જાય...'
'સ્વર્ગના દરવાજા ખુલી ગયા, ભગવાન કરે તેઓ મરી જાય'
ઝેલેન્સ્કીએ યુક્રેનની જનતાને સંબોધિક કરતી વખતે યુક્રેનની પ્રાચીન લોક માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. ક્રિસમસના દિવસે સ્વર્ગના દ્વાર ખુલવાની માન્યતાનો ઉલ્લેખ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'પ્રાચીનકાળથી યુક્રેનના લોક માનતા આવ્યા છે કે, ક્રિસમસની રાત્રે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે અને જો આ સમયે તમારી ઈચ્છા બતાવો તો તે જરૂરથી પૂરી થાય છે. આજે અમે બધા એક જ સપનું જણાવી છીએ કે, અમારા માટે એ આ દુનિયામાં ન રહે.' જોકે, આ દરમિયાન ઝેલેન્સ્કીએ કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
ક્રિસમસની પૂર્વસંધ્યાએ રશિયાએ યુક્રેન પર કર્યા મિસાઇલ હુમલા
ક્રિસમસની પૂર્વસંધ્યાની પહેલા રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારો પર મોટા પાયે મિસાઇલ હુમલા કર્યા બાદ આ નિવેદન સામે આવ્યું હતું. આ હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને સમગ્ર દેશમાં મોટાપાયે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સાથે રશિયાએ ક્રિસમસના દિવસે યુક્રેનમાં 131 ડ્રોન છોડ્યા હતા. જ્યારે યુક્રેનિયન હવાઈ સંરક્ષણ દળોએ આમાંથી મોટાભાગના ડ્રોનને તોડી પાડ્યા હતા, ત્યારે 22 ડ્રોન નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા હતા, જે 15 અલગ અલગ વિસ્તારોમાં પડ્યા હતા.
ઝેલેન્સકીએ ઉત્સવ પર થયેલા હુમલા મામલે પ્રહાર કરતા કહ્યું કે, 'ક્રિસમસની પૂર્વસંધ્યાએ રશિયાએ ફરી એકવાર બતાવ્યું કે તેઓ ખરેખર કોણ છે. ભારે ગોળીબાર, સેંકડો ડ્રોન, બેલિસ્ટિક મિસાઇલો, કિંઝાલ હુમલા બધું જ તૈનાત કરવામાં આવ્યું હતું. આ તેમનો ઈશ્વર-વિહીન હુમલો છે.'
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ નાગરિકોને આ હુમલાનો સામનો કરવા માટે મજબૂત રહેવાની અપીલ કરી છે અને તેવા લોકોનો આભાર માન્ય હતો કે જેમને પોતાની પરવાહ કર્યા વગર યુક્રેનની રક્ષા કરી. તેમણે કહ્યું કે, 'યુક્રેનની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા તમામ શહીદ નાયકોને અમે યાદ કરીએ છીએ. જેઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ જેમણે પોતાની અંદર યુક્રેન ગુમાવ્યું નથી, અને તેથી યુક્રેન તેમને ક્યારેય ગુમાવશે નહીં. આજે આપણે ખભા મિલાવીને ઉભા છીએ. અંધારામાં પણ આપણે આપણો રસ્તો નહીં ગુમાવીએ.'


