અમેરિકાએ કતારમાંથી છાનામાના સૈન્ય વિમાનો હટાવી લીધા, ઈરાનના હુમલાની આશંકાને પગલે નિર્ણય
Israel-Iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ કતાર સ્થિત તેના મુખ્ય લશ્કરી મથક પરથી શાંતિથી વિમાનો હટાવવાનું શરૂ કરી દીધું છે. સેટેલાઇટ તસવીરો અને ફ્લાઇટ ડેટા પરથી જાણવા મળ્યું છે કે, અમેરિકાએ સંભવિત ઈરાની હુમલાઓથી પોતાના વ્યૂહાત્મક લશ્કરી સંસાધનોને બચાવવા માટે આ પગલું ભર્યું છે.
5 જૂનથી 19 જૂન દરમિયાન Planet Labs PBC દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે, મધ્ય-પૂર્વમાં અમેરિકાનો સૌથી મોટો એરબેઝ અલ ઉદેદ લગભગ ખાલી છે. 5 જૂનના દિવસે અહીં લગભગ 40 વિમાન પાર્ક કરવામાં આવ્યા હતા, જેમાં C-130 હરક્યૂલિસ ટ્રાન્સપોર્ટ અને ગુપ્ત જેટ્સ સામેલ હતા. વળી, 19 જૂન સુધી ફક્ત અહીં ફક્ત ત્રણ જ વિમાન ઊભેલા જોવા મળે છે, બાકીનાને અમેરિકાએ હટાવી દીધા છે.
આ પણ વાંચોઃ યુદ્ધના 8માં દિવસે ઈરાને ઈઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ઝીંકી તબાહી મચાવી, હિઝબુલ્લાહનો ટેકો
સતર્કતાનો સંકેત
કતારમાં સ્થિત અમેરિકન દૂતાવાસે ગુરૂવારે જાણકારી આપી હતી કે, હવેથી એરબેઝમાં સીમિત પ્રવેશ રહેશે અને સ્ટાફને સતર્ક રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે. એકબાજુ જ્યાં એરબેઝ ખાલી કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજીબાજુ અમેરિકાથી 15-18 જૂન વચ્ચે 27 ફ્યૂલિંગ વિમાનોએ યૂરોપ માટે ઉડાન ભરી, જેમાં KC-46A પેગાસેસ અને KC-135 સામેલ છે. તેમાંથી 25 વિમાન હજુ પણ યુરોપમાં છે, જેનાથી લાંબા ઓપરેશનની તૈયારીનો સંકેત મળે છે.
ઈરાનના વળતા પ્રહારનો ડર, સૈનિક એલર્ટ પર
આખા મધ્ય પૂર્વમાં અમેરિકન સેના હાઇ એલર્ટ પર છે અને સૈન્ય પરિવારોને સંભવિત ઈરાનની જવાબી કાર્યવાહી સામે સાવચેતી તરીકે સ્વેચ્છાએ એરબેઝ છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હાલમાં મધ્ય પૂર્વમાં લગભગ 40,000 અમેરિકન સૈનિકો તૈનાત છે, જે સામાન્ય 30,000 કરતા ઘણા વધારે છે. ઓક્ટોબરમાં જ્યારે હૂથી વિદ્રોહીઓએ લાલ સાગર પર હુમલા કર્યા ત્યારે તેની સંખ્યા 43,000 સુધી પહોંચી હતી. પેન્ટાગને આ વખતે પણ તૈનાતી પર ચુપ્પી સાધી છે પરંતુ, એવું પણ કહ્યું છે કે, સૈનિકો કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા નહીં પણ આ દેશની ભૂમિકા, જુઓ કોણે કર્યો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પ જલ્દી લેશે નિર્ણય
વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી કે, ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય કરશે કે, અમેરિકા ઈઝરાયલ સાથે મળીને ઈરાન સામેના સૈન્ય અભિયાનમાં સામેલ થશે કે નહીં. ટ્રમ્પનું માનવું છે કે, આ વ્યૂહનીતિની સંભાવનાઓ હજુ બાકી છે.
ઈરાનને લઈને ઈઝરાયલનું કડક વલણ
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે, 'ખામેનેઈ જેવા તાનાશાહનું અસ્તિત્વ હવે સહન નહીં કરવામાં આવે.' આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ઈરાનની મિસાઇલે એક હોસ્પિટલને નિશાનો બનાવ્યો જેમાં 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.