ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા નહીં પણ આ દેશની ભૂમિકા, જુઓ કોણે કર્યો દાવો
India-Pakistan Conflict: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇસહાક ડારે પહેલીવાર સાર્વજનિક રૂપે સ્વીકાર કર્યો કે, ભારતે 7 મેના દિવસે 'ઓપરેશન સિંદૂર' હેઠળ રાવલપિંડી સ્થિત નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલો 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં હતો, જેમાં 26 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. ડારે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'અમે જવાબી હુમલાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ ભારતે પહેલાં કાર્યવાહી કરી અને અમને ચોંકાવી દીધા.' જણાવી દઈએ કે, આ પહેલાં પાકિસ્તાન સરકાર અને સેનાએ વારંવાર હુમલામાં થયેલા પોતાના નુકસાનને લઈને ઈનકાર કર્યો હતો.
નોંધનીય છે કે, ભારત સરકારે પોતાના સટીક, માપેલા અને બિન-ઉત્તેજક કાર્યવાહી કરી હતી. ભારતનો દાવો હતો કે, તેણે ન ફક્ત આતંકી ઠેકાણા અને એવા ઠેકાણાને નિશાનો બનાવ્યા છે, જે સીમા પારથી થઈ રહેલા હુમલાની યોજના અને સમર્થનમાં સામેલ હતા.
આ પણ વાંચોઃ ઈરાનના પ્રચંડ હુમલાઓને પગલે ઈઝરાયલને મદદની જરૂર પડી? આંતરરાષ્ટ્રીય સર્મથન માગ્યું
સાઉદી અરેબિયાએ કરી મધ્યસ્થતા?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે, તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવ્યો. જોકે, ભારતે દર વખતે તેમના દાવાને સંપૂર્ણ રીતે નકારી દીધા હતા. ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઇશાક ડારે કહ્યું કે, હુમલા પછી તરત જ, સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તેમનો સંપર્ક કર્યો અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરવાની અને ભારત-પાકિસ્તાન તણાવ ઘટાડવામાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને ફોન કરીને પૂછ્યું કે શું તેઓ જયશંકરને કહી શકે છે કે પાકિસ્તાન સંઘર્ષ રોકવા માટે તૈયાર છે?'
પાકિસ્તાન વડાપ્રધાન અને સેના પ્રમુખે પણ કર્યો સ્વીકાર
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે, ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઇલોથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'ભારતે ફરીથી મિસાઇલ હુમલા કર્યા અને આપણા વિવિધ પ્રાંતો, ખાસ કરીને રાવલપિંડી એરપોર્ટને નિશાન બનાવ્યું. પાકિસ્તાને 10 મેના રોજ સવારે 4:30 વાગ્યે બદલો લેવાની યોજના બનાવી હતી, પરંતુ 9-10 મેની રાત્રે ભારતના બીજા તબક્કાના હુમલાએ તે યોજનાને નિષ્ફળ બનાવી દીધી.'
આ પણ વાંચોઃ બ્રિટનના ઈતિહાસની સૌથી ખતરનાક ઘટના, ચીનના યુવાને 60થી વધુ છોકરીઓ પર દુષ્કર્મ આચર્યું
ન્યૂ નૉર્મલ સ્થાપિત કરવા ઈચ્છે છે ભારતઃ જનરલ મુનીર
પૂર્વ આર્મી ચીફ અને હવેના ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે અમેરિકામાં વસતા પાકિસ્તાનીઓને કહ્યું કે, 'ભારત એક નવી સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવા માંગે છે જેમાં તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને હુમલો કરી શકે.'
ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ થયું હતું, જેમાં ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે વધુ પ્રભાવી રૂપે તેને જવાબ આપ્યો હતો. ચાર દિવસની સતત અથડામણ બાદ, 10 મેના દિવસે બંને દેશો વચ્ચે અનૌપચારિક સંઘર્ષવિરામ કરાર થયો હતો.