‘અમે હુમલા કર્યા એટલે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અટક્યું’, ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો
Iran-Israel War And US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાના હુમલાના કારણે જ 12 દિવસથી ચાલી રહેલું ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ અટક્યું છે. તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લેતા કહ્યું કે, ‘અમેરિકન બોંબવર્ષ ફાઈટર જેટોએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર ભારેભરખમ બોંબ ઝિંક્યા, તેના કારણે જ યુદ્ધ બંધ થઈ શક્યું છે. અમેરિકાના હુમલાના કારણે જ બે દેશોની દુશ્મની પર બ્રેક વાગી શકી છે.
બંને દેશોમાં અનેકઘણું નુકસાન થયું : ટ્રમ્પ
ટ્રમ્પે બંને દેશોમાં જાનમાલના નુકસાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘છેલ્લા બે સપ્તાહના યુદ્ધ દરમિયાન ઈરાન-ઈઝરાયલે મોટાપ્રમાણમાં અનેક લોકોને ખોયા છે અને સંપત્તિઓને પણ અનેકઘણું નુકસાન થયું છે.’ તેમણે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સરખામણી 1945માં અમેરિકાએ જાપાન કરેલા પરમાણુ હુમલા સાથે કરી છે. આ હુમલામાં જાપાનના શહેર હિરોશિમા અને નાગાસાકી નષ્ટ થઈ ગયું હતું.
‘તેહરાનની નરક જેવી સ્થિતિ થઈ ગઈ’
ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પ્રશ્ન કરાતા ટ્રમ્પે કહ્યું કે, ‘12 દિવસના યુદ્ધમાં તેહરાનની નરક જેવી સ્થિતિ થઈ છે, જેના કારણે ઈરાને પોતાના દેશને પરમાણુ હથિયાર બનાવવાની ઈચ્છાનો ત્યાગ કરવો પડ્યો છે.’ NATO શિખર સંમેલનમાં ભાગ લેવા હેગ પહોંચેલા ટ્રમ્પે કહ્યું કે, ‘મને નથી લાગતું કે તેઓ (ઈરાન) ફરી પરમાણુ સંવર્ધન કરશે. તેઓ પોતાનું તેલ લેશે, પોતાના મિસાઈલો લેશે અને પોતાનો બચાવ કરશે... મને લાગે છે કે તેમનું કામ પૂરું થઈ ગયું છે. તેઓ હમણાં જ નરકમાંથી પસાર થઈ ગયા છે. તેઓ છેલ્લી વસ્તુ પરમાણુ સંવર્ધન બનાવવા માંગતા હતા, તેઓ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા... આમ તો પરમાણુ સંવર્ધન કરવું ઘણું મુશ્કેલ છે, તે કરવા માટે અબજો ડોલર ખર્ચ્યા છે, પરંતુ તેઓ કરી શક્યા નથી.’
આ પણ વાંચો : ‘અમારી ભારત સાથે વાત કરાવો’ પાકિસ્તાનના વડાપ્રધાનની સાઉદી અરેબિયાના પ્રિન્સને આજીજી
અમે હુમલો કરતા યુદ્ધ સમાપ્ત થઈ ગયું : અમેરિકન પ્રમુખ
ટ્રમ્પ એવો પણ દાવો કર્યો કે, ‘અમેરિકા અને ઈરાન વચ્ચે સારો તાલમેલ છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કરતા યુદ્ધ સમાપ્ત થઈ શક્યું છે. હું હિરોશિમાનું ઉદાહરણ આપવા માંગતો નથી, નાગાસાકીનું પણ ઉદાહરણ આપવા માંગતો નથી, જોકે હિરોશિમા-નાગાસાકીનો મામલો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જેવો જ છે. અમેરિકાએ આ બંને શહેરો પર પરમાણુ હુમલો કરીને દ્વિતીય વિશ્વ યુદ્ધ ખતમ કર્યું હતું, તેવી જ રીતે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને ઈરાલ-ઈઝરાયલનું યુદ્ધ ખતમ કરાવી દીધું છે.
અમેરિકાએ 1945માં જાપાનમાં બે અણું બોંબ ઝિંકતા બે લાખ લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1945 અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકીમાં લીટલ બોય અને ફેટ મેન નામના બે અણુબોંબ ફેંકીને તબાહી વેરી હતી. અમેરિકાના અણુ હુમલામાં બે લાખથી પણ વધુ નિદોર્ષ જાપાની નાગરીકોના મોત થયા હતા. મુત્યુ પામેલા પોતાને નસીબદાર સમજે એવી ખરાબ પરિસ્થિતિ અણુ હુમલામાં ઘવાયેલાઓની થઇ હતી. અણુ હુમલાના પગલે વિશ્વ યુદ્ધનો અંત અને જાપાનની બરબાદીની શરૂઆત થઇ હતી. વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના વિમાનોએ સાદા હવાઇ હુમલામાં નાગાસાકી અને હિરોશિમાને ટાર્ગેટ કર્યા ન હતા. આથી આ બંને શહેરો પર ન્યુકિલયર બોંબ ફેંકવાનું અમેરિકાએ પહેલેથી જ નકકી કર્યુ હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટુમેને આ ગુપ્ત અભિયાનને લીલી ઝંડી આપી હતી. હિરોશિમામાં જાપાનનું સૈન્ય ઠેકાણું હોવાથી મરણતોલ ફટકો આપવા માટે પહેલા ટાર્ગેટ તરીકે માફક આવે તેમ હતું કારણ કે હિરોશિમા પોર્ટ પરથી જ જાપાની સૈન્યને પુરવઠો મળતો હતો. રાત્રે બે વાગે અમેરિકાનું બી-29 વિમાન ઉડયું ત્યારે તેમાં 12 લોકો બેઠેલા હતા, જેઓએ હિરોશિમા પર અણું બોંબ ઝિક્યો હતો.