યુદ્ધમાં USની એન્ટ્રી બાદ ઈરાન 'Strait Of Hormuz' બંધ કરે તો આખી દુનિયા ટેન્શનમાં મૂકાશે!
Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરી છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર એર સ્ટ્રાઈક કરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ વધી છે. આ ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુજ (Strait Of Hormuz) બંધ કરે તો વિશ્વભરમાં ક્રૂડની મંદી આવી શકે છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુજ એ વિશ્વ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ક્રૂડ ઓઈલના પરિવહન માટેના દરિયાઈ માર્ગ પૈકી એક છે. આવો જાણીએ કેમ જરૂરી છે હોર્મુજ અને તે બંધ થયો તો તેની શું અસર થશે?
26 ટકા ક્રૂડનો વેપાર સ્ટ્રેટ ઓફ હોર્મુજના માધ્યમથી
ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઈરાને અગાઉ જ હોર્મુજ જલડમરૂમધ્ય (સ્ટ્રેટ ઓફ હોર્મુજ) બંધ કરવાની ધમકી આપી હતી. જો કે, તેને બંધ કરવો સરળ નથી. પરંતુ હવે અમેરિકા ઈઝરાયલના સમર્થનમાં ઉતરતાં આશંકા વધી છે કે, ઈરાન હોર્મુજ બંધ કરી શકે છે. આ એક મહત્ત્વનો દરિયાઈ ક્રૂડ માર્ગ છે. જેના પર ઈરાનનું નિયંત્રણ છે. આ દરિયાઈ માર્ગે વિશઅવનું 26 ટકા ક્રૂડ સપ્લાય થાય છે. જો તેને બંધ કરવામાં આવ્યો તો અમેરિકા સહિત તમામ યુરોપિયન દેશો અને ભારતને માઠી અસર થઈ શકે છે.
![]() |
Image; Wikipedia |
પરિવહન માટે અત્યંત મહત્ત્વનો માર્ગ
વૈશ્વિક સ્તરે ક્રૂડની નિકાસ કરવા માટે હોર્મુજ જલડમરૂમધ્ય અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે. આ રૂટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા તો વૈશ્વિક સ્તરે ક્રૂડની મંદી સર્જાઈ શકે છે. જેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ઈરાનના સાંસદ અલી યાજ્દિખાહે અગાઉ સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી કે, જો અમેરિકા ઈઝરાયલના સમર્થનમાં ઉતર્યું તો ઈરાન ક્રૂડ ઓઈલના બિઝનેસ પર પ્રતિબંધો લાદવા હોર્મુજ બંધ કરી શકે છે.
હોર્મુજ બંધ કર્યો તો ક્રૂડ મોંઘુ થશે
સ્ટ્રેટ ઓફ હોર્મુજ 96 માઈલ લાંબો અને 21 માઈલ પહોળો દરિયાઈ ક્રૂડ પરિવહન માર્ગ છે. જો આ રૂટ બંધ કરવામાં આવે તો જહાજોએ પોતાનો માર્ગ બદલવો પડશે. જે વધુ લાંબો અને મોંઘો થશે.પરિવહન ખર્ચથી માંડી ડિલિવરી ટાઈમમાં પણ વધારો થશે. જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો થતાં ક્રૂડના ભાવો પહેલાંથી જ વધી રહ્યા છે. એવામાં સપ્લાયની ચિંતા થઈ તો ભાવમાં ભડકો થવાની ભીતિ છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ
120-130 ડોલર પ્રતિ બેરલે પહોંચશે ભાવ
રેટિંગ એજન્સી જેપી મોર્ગને વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખતાં ક્રૂડના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી વધવાનો અંદાજ આપ્યો છે. સીટી અને ડોયશે બેન્કે સહિતની ટોચની બેન્કો અને એનાલિસ્ટ્સે પણ ક્રૂડના ભાવ 120-130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની આશંકા દર્શાવી છે.
ભારતમાં મોંઘવારીનું જોખમ
ભારતમાં દરરોજ આશરે 37 લાખ બેરલ ક્રૂડનો વપરાશ થાય છે. દેશ પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. માત્ર 40 ટકા ખાડી દેશોમાંથી આયાત કરે છે, એવામાં જો ક્રૂડ સપ્લાયમાં અડચણો આવી તો અન્ય દેશોની સાથે ભારત પર પણ મુશ્કેલીઓ આવી શકે છે.
પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ કિંમત, ફ્રેટ ચાર્જ, રિફાઈનરી કોસ્ટના આધારે પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે. જેમાં એક્સાઈઝ ડ્યૂટી, VAT, અને ડીલર કમિશન પણ જોડાય છે. ક્રૂડ મોંઘુ થાય તો પેટ્રોલ-ડિઝલના ભાવ વધે છે. તેમાં જો હોર્મુજ બંધ થાય તો પરિવહન ખર્ચ વધશે અને પરિણામે ક્રૂડ મોંઘુ થતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અનેકગણો વધારો થઈ શકે છે. ગત સપ્તાહે બ્રેન્ટ ક્રૂડ વાયદો 18 ટકા ઉછળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 79 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થયુ હતું. જો કે, બાદમાં ઘટી 77 ડોલર પ્રતિ બેરલ થયુ હતું.