રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા મોદી-પોપ ફ્રાન્સિસને શાંતિમાં સમિતિ સ્થાન આપો : મેક્સિકો
Updated: Sep 23rd, 2022
નવી દિલ્હી,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે, આજનો યુગ યુધ્ધનો યુગ નથી.
એ પછી દુનિયાના વિવિધ દેશો પીએમ મોદીના આ નિવેદનનુ સમર્થન કરી રહ્યા છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોએ પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યુ હતુ.
હવે મેકિસકોના વિદેશ મંત્રીએ યુએનની સુરક્ષા પરિષદની બેઠકમાં પ્રસ્તાવ મુકયો હતો કે, યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા માટે એક સમિતિ બનાવવામાં આવે. જેમાં ભારતના પીએમ મોદી, પોપ ફ્રાન્સિસ અને યુએનના મહાસચિવ એન્તોનિયો ગુતાસેરને સામેલ કરવામાં આવે.
મેકિસકોના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે આંતરરાષ્ટ્રિય સમુદાયે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવાની જરૂર છે. આ માટે એક શાંતિ વાર્તા સમિતિ બનાવવામાં આવે. જેમાં બીજા દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને સામેલ કરવામાં આવે અને શક્ય હોય તો તેમાં નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસને સ્થાન આપવામાં આવે.
તેમણે કહ્યુ હતુ કે, આ સમિતિનુ લક્ષ્ય બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનુ, વિશ્વાસનુ વાતાવરણ સર્જવાનુ અને વાટાઘાટો માટે નવુ પ્લેટફોર્મ તૈયાર કરવાનુ હોવુ જોઈએ.