'અમને વિશ્વાસ છે કે રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરાવવામાં ભારત મદદ કરશે', ઝેલેન્સ્કીનો PM મોદીને થેન્ક યુ મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ukraine President Thanks PM Modi: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દેશની સ્વતંત્રતા દિવસ પર શુભકામના આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે રશિયા સાથેના યુદ્ધનો અંત લાવવામાં ભારતના યોગદાન પર યુક્રેનને વિશ્વાસ હોવાનું મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ઝેલેન્સ્કીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત કહ્યું કે, યુક્રેન શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણને બિરદાવે છે. આજે જ્યારે આખી દુનિયા આ ભયાવહ યુદ્ધનો અંત લાવવા અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે અમને ભારતના યોગદાન પર વિશ્વાસ છે. વ્યૂહનીતિને મજબૂત બનાવતો પ્રત્યેક નિર્ણય માત્ર યુરોપમાં જ નહીં, હિન્દ-પેસેફિકની સુરક્ષામાં વધારો કરે છે.
પીએમ મોદીએ ઝેલેન્સ્કીને પાઠવી શુભકામના
વડાપ્રધાન મોદીએ 16 ઓગસ્ટને યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિશીલ ભવિષ્યની કામના કરી હતી, તેમજ ઝેલેન્સ્કીને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે, ઝેલેન્સ્કીએ પણ 15 ઓગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં ભારત યોગદાન આપશે.
જેના પર પીએમ મોદીએ X પર કહ્યું હતું કે, 'પ્રમુખ ઝેલેન્સ્કી, તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. હું ભારત અને યુક્રેન વચ્ચે વધુ ગાઢ સંબંધો બનાવવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. અમે યુક્રેનમાં અમારા મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલું ભવિષ્ય ઈચ્છીએ છીએ.'
દ્વિપક્ષીય સંબંધોની નોંધ લઉ છુંઃ પીએમ મોદી
ઝેલેન્સ્કીએ મંગળવારે 24 ઓગસ્ટના રોજ વડા પ્રધાન મોદી તરફથી મળેલો એક પત્ર પોસ્ટ કર્યો, જેમાં તેમણે ભારતના સ્વતંત્રતા દિવસ પર યુક્રેનિયન રાષ્ટ્રપતિના વિચારશીલ સંદેશ અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. પીએમ મોદીએ આ પત્રમાં લખ્યું હતું કે, 'હું આ તકનો લાભ લઈને તમને અને યુક્રેનના લોકોને તમારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મારી શુભકામનાઓ પાઠવું છું. હું ગયા વર્ષે ઓગસ્ટમાં કિવની મારી મુલાકાતને યાદ કરું છું અને ત્યારથી ભારત-યુક્રેન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની નોંધ લઉં છું. હું અમારા પરસ્પર લાભદાયી સહયોગને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે નિષ્ઠાવાન પ્રયાસોને શક્ય તમામ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.'









