બ્રિટનના કિંગ ચાર્લ્સે લંડનમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન, મહંત સ્વામીએ પત્ર લખી આપ્યા આશીર્વાદ

UK King Charles Tritiya and Queen Camilla: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત અને 'નીસડન મંદિર' તરીકે વિશ્વભરમાં લોકપ્રિય, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શને 199થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા ત્રીસ વર્ષોમાં, દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સમાવેશ આ મુલાકાતીઓમાં થાય છે. આ મંદિરની દિવ્ય આભા દરેક દર્શનાર્થીના હૃદય પર એક અમીટ છાપ છોડવા માટે જાણીતી છે.
હાલમાં, દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના ઉત્સવમય માહોલમાં અને મંદિરના 30 વર્ષ પૂર્ણ થવાથી બ્રિટનના મહારાજા ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની મહારાણી કેમિલા નીસડન મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા.

બ્રિટનના કિંગ અને ક્વીન તરીકે પ્રથમ મુલાકાત
આ અવસર પર, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ શાહી પરિવારનું સ્વાગત કર્યું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકે અગાઉ મુલાકાતો લીધા બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. શાહી પરિવારે મંદિરની અગાઉ પણ અનેક મુલાકાતો લીધી છે, જે BAPS હિન્દુ સમુદાય સાથેના તેમના લાંબા અને સ્નેહપૂર્ણ સંબંધોને સ્પષ્ટપણે દર્શાવે છે.
બ્રિટિશ સમાજમાં મહત્ત્વનું યોગદાન
1995માં ઉદ્ઘાટન થયા પછી, નીસડન મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધા, સેવા અને ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય પ્રતીક ગણાતા આ મંદિરે બાળ અને યુવા વિકાસ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, સ્વાસ્થ્ય અને માનવીય સહાય જેવી અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા બ્રિટિશ સમાજમાં સતત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: ગાઝામાં યુદ્ધવિરામ સંકટમાં : ઇઝરાયેલના હુમલામાં 104નાં મોત
સ્વયંસેવકો અને ભક્ત સમુદાય સાથે મુલાકાત
શાહી દંપતીએ તેમની યાત્રા દરમિયાન મંદિરના સ્વયંસેવકો અને ભક્ત સમુદાય સાથે મુલાકાત કરીને મંદિર દ્વારા થતા સેવા કાર્યો વિશે માહિતી મેળવી. આ સેવા કાર્યોમાં ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથે મંદિરની લાંબા સમયથી ચાલતી ભાગીદારી પણ સામેલ છે. આ લંડન સ્થિત એક ચેરિટી સંસ્થા છે જે નબળા વર્ગના લોકોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે. આ સેવા કાર્ય કિંગ ચાર્લ્સના કોરોનેશન ફૂડ પ્રોજેક્ટનો પણ એક અભિન્ન ભાગ છે.
પેરિસ મંદિર (2026) વિશે જાણકારી મેળવી
મુલાકાત દરમિયાન, શાહી દંપતીને પેરિસમાં સપ્ટેમ્બર, 2026માં ઉદ્ઘાટન થનારા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર (જે ફ્રાન્સનું પહેલું પરંપરાગત હિન્દુ મંદિર હશે) વિશે માહિતી મળી, અને તેમણે મંદિર નિર્માણ પ્રોજેક્ટ ટીમના મુખ્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી.

મહંત સ્વામીએ પત્ર લખી આપ્યા આશીર્વાદ
વિશ્વવ્યાપી BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે, ભારતથી એક વીડિયો સંદેશ દ્વારા શાહી પરિવારને પ્રાર્થના અને આશીર્વાદ પાઠવતા કહ્યું કે, 'શાહી પરિવારની હાજરી તમારી જાહેર સેવાના દાયકાઓ દરમિયાન, આસ્થાને મહત્ત્વ આપવા અને ધર્મો વચ્ચે સદ્ભાવનાને પ્રોત્સાહન આપવાનું પ્રમાણ છે. મહંત સ્વામી મહારાજે કિંગ ચાર્લ્સને વ્યક્તિગત પત્ર લખીને સંપૂર્ણ યુકેની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ આશીર્વાદ આપ્યા.
અંતે, શાહી દંપતીએ મંદિરની સામાજિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા સ્વયંસેવકોની ભક્તિ અને સેવાને બિરદાવીને વિદાય લીધી.

બ્રિટિશ રાજપરિવાર અને BAPS સંસ્થાના સંબંધો
કિંગ ચાર્લ્સ તૃતીય (તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ) અને ક્વીન કેમિલા (તત્કાલીન ડચેસ ઓફ કોર્નવોલ)નો BAPS સંસ્થાના સેવા કાર્યો સાથેનો સંબંધ લાંબો છે. તેમણે વર્ષ 1996માં કિંગ ચાર્લ્સે નીસડન મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ તેની પ્રથમ મુલાકાત લીધી.
પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત (1997): કિંગ ચાર્લ્સે સેન્ટ જેમ્સ પેલેસમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું.
સેવા કાર્યમાં સહાય (2001): તેમણે ગુજરાત ભૂકંપ પછી રાહત પ્રયાસોને સમર્થન આપવા માટે મંદિરની મુલાકાત લીધી.
સાંસ્કૃતિક કાર્યક્રમો: શાહી દંપતીએ 'મિસ્ટિક ઇન્ડિયા'ના રોયલ વર્લ્ડ ચેરિટી પ્રીમિયર (2005)માં ભાગ લીધો, તેમજ નીસડન મંદિરમાં દિવાળી (2007) અને હોળી (2009) પર્વની ઉજવણીમાં પણ મુલાકાત લીધી.
ભારતમાં મુલાકાત (2013): ભારત યાત્રા દરમિયાન તેમણે નવી દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત પણ લીધી.

આ પણ વાંચો: ટ્રેડ વોર સમાપ્ત કે પછી તણાવ હજુ વધશે? આજે 6 વર્ષ બાદ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત
આધ્યાત્મિક પ્રસંગો:
2016: પ્રમુખ સ્વામી મહારાજના નિધન (દેહવિલય) પર શોક સંદેશ મોકલ્યો.
2020: નીસડન મંદિરની 25મી વર્ષગાંઠ માટે વીડિયો સંદેશ મોકલ્યો.
2022: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી જન્મ સમારોહ નિમિત્તે વિશેષ સંદેશ મોકલ્યો.
રાજ્યાભિષેક (2023): BAPS યુકેના અધ્યક્ષ શ્રી જીતુભાઈ પટેલે હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે શાહી દંપતીના રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લીધો.

