પાકિસ્તાનનો સાથ તૂર્કિયેને ભારે પડશે! અનેક ડેસ્ટિનેશન વેડિંગ રદ, અબજોનો ફટકો
પ્રતિકાત્મક તસવીર |
Boycott Turkey : હજુ હમણાં સુધી તુર્કિયે ભારતીયોનું મનગમતું પ્રવાસન સ્થળ હતું, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં તુર્કિયેએ પાકિસ્તાનો પક્ષ લેતા ભારતીયોએ ‘બોયકોટ તુર્કિયે’નો એવો તો સપાટો બોલાવ્યો કે તુર્કિયે ખળભળી ઊઠ્યું. ઓપરેશન સિંદૂરની ઘટના પછી 2000 ભારતીયોએ તુર્કિયેનો પ્રવાસ રદ કરી દીધો છે. એ પછી ભારતના વેપારીઓ, રિટેલર્સ અને ટોચના ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વ્યાપક બહિષ્કાર કરીને તુર્કિયેના માલનું વેચાણ બંધ કરતાં તુર્કિયેને બહુ મોટું આર્થિક નુકશાન થયું છે. હવે એક ત્રીજા મોરચે પણ ભારતના લોકોએ તુર્કિયેનો હાથ આમળ્યો છે, અને તે છે ‘ડેસ્ટિનેશન વેડિંગ’નું કેન્સલેશન.
તુર્કિયે ખાતે હવે લગ્ન નહીં!
છેલ્લા થોડા વર્ષોમાં ભારતીયોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ જામ્યો છે. લોકો દેશ-વિદેશના રમણીય સ્થળોએ લગ્ન સમારંભો યોજે છે અને ધૂમ પૈસો ઉડાવે છે. લગ્ન કરવા માટે તુર્કિયે પણ ભારતીયોની પસંદનું સ્થળ હતું. ભારતીય લોકોના લગ્નોને લીધે તુર્કિયેને વાર્ષિક લગભગ 1200 કરોડ રૂપિયાની આવક થતી હતી, જે હવે બંધ થઈ જશે, કેમ કે હવે ભારતીયો તુર્કિયે ખાતેના ‘ડેસ્ટિનેશન વેડિંગ’ રદ કરી રહ્યા છે.
લગ્નદીઠ સરેરાશ 25 કરોડની આવક બંધ થશે
આંકડાઓ પર નજર નાંખીએ તો, વર્શ 2004 માં તુર્કિયેમાં 50 ભારતીય લગ્નોનું આયોજન થયું હતું. પ્રત્યેક લગ્નમાં સરેરાશ 3 મિલિયન ડોલર એટલે કે 25 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. એ હિસાબે જોઈએ તો એકલા ગયા વર્ષમાં જ ભારતીયોએ તુર્કિયેને લગભગ 1200 કરોડ રૂપિયાની આવક કરી આપી હતી. ત્યાં યોજાયેલા ભારતીયોના અમુક લગ્નો તો એટલા ભવ્ય હતા કે એનો ખર્ચો 8 મિલિયન ડોલર (68 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. હવે આ આવક બંધ થતાં તુર્કિયેને ચોક્કસપણે ફટકો પડશે.
આ પણ વાંચો: આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એર બેઝને થયું હતું નુકસાન
તુર્કિયેના લગ્નો કરતાં ભારતીય લગ્નો અનેકગણા મોંધા
આંકડા દર્શાવે છે કે, તુર્કિયેમાં સરેરાશ 100 મહેમાનો માટેનું ભારતીય લગ્નનું પેકેજ 385,000 ડોલર (3.29 કરોડ રૂપિયા)થી શરૂ થતું હોય છે. સ્થાનિક તુર્કિયે લગ્નોમાં આ પેકેજ ફક્ત 1,600 થી 5,400 ડોલર (1.3 લાખથી 4.6 લાખ)ની વચ્ચેનું હોય છે. જેના પરથી સાબિત થાય છે કે તુર્કિયેના લગ્ન બજારમાં ભારતીયોનો હિસ્સો કેટલો મોટો છે. વર્ષ 2018 માં તુર્કિયેમાં 13 ભારતીય લગ્ન યોજાયા હતા, 2024 માં તે વધીને 50 થઈ ગયા હતા.
સ્થાનિક રોજગારી પર અસર પડશે
તુર્કિયેમાં આયોજિત ઈન્ડિયન ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્નદીઠ સરેરાશ 500 મહેમાનો સામેલ થતા હોય છે. ઘણા દિવસો સુધી ચાલનારી ઉજવણીઓને લીધે ફ્લોરિસ્ટ જેવા સ્થાનિક વિક્રેતાઓથી લઈને ઈવેન્ટ મેનેજર જેવા વ્યવસાયોને નોંધપાત્ર રોજગારી મળતી હોય છે. ભારતીયોના બહિષ્કારને પગલે હવે એ તમામ લોકો પ્રભાવિત થવાના.
કેટલા લગ્નો રદ થયા?
વર્ષ 2025 માં તુર્કિયેમાં 50 લગ્નોનું આયોજન થવાનું હતું, જેમાંના 30 લગ્નો હવે તુર્કિયેને બદલે બીજે કશે થવા જઈ રહ્યા છે. એક લગ્નનો સરેરાશ ખર્ચ 3 મિલિયન ડોલર (25 કરોડ રૂપિયા) ગણીએ તો તુર્કિયેને 90 મિલિયન ડોલર(770 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું છે અને એમાં હજુ વધારો થવાની સંભાવના છે.