ટ્રમ્પ સરકારનો કોર્ટમાં ગજબનો દાવો, કહ્યું- ‘ટેરિફ જરૂરી, નહીં તો ભારત-પાકિસ્તાન વચ્ચેનું સીઝફાયર તૂટી જશે’
US President Donald Trump Tariff Case And India-Pakistan Ceasefire : અમેરિકાની કોર્ટમાં ટેરિફના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રમ્પ તંત્રના અધિકારીઓએ ટ્રમ્પ સરકાર દ્વારા વિશ્વભરની અર્થવ્યવસ્થા પર વ્યાપક ટેક્સ લગાવવાના નિર્ણયના પ્રયાસને બચાવવાનો પ્રયાસ કરાયો છે. કોર્ટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હાસ્યાસ્પદ દાવો પણ કર્યો છે. ટ્રમ્પ સરકારે દાવો કર્યો છે કે, જો કોર્ટ ટેરિફ લગાવવાની શક્તિઓ સમિતિ કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ તૂટી શકે છે.
અમેરિકન અધિકારીઓએ ટ્રમ્પના ટેરિફ નિર્ણયનો કોર્ટમાં બચાવ કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની અમેરિકન કોર્ટમાં ટેરિફ અંગે સુનાવણી હાથ ધરાઈ, ત્યારે ટ્રમ્પ તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ટ્રમ્પે ટેરિફ અંગે લીધેલા નિર્ણયનો બચાવ કર્યો છે. ટ્રમ્પ દ્વારા ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરવાની બાબતનો બચાવ કરતા અધિકારીઓએ કોર્ટને કહ્યું કે, ‘ટ્રમ્પની ટેરિફ શક્તિઓને ઘટાડવાથી અમેરિકાની વેપારી ડિલને નુકસાન થશે.’ તેઓએ એવું પણ કહ્યું કે, ‘ટેરિફ લાદવાની સત્તા ઘટાડવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ જશે.’
ટ્રમ્પના અધિકારીઓએ કોર્ટમાં શું કહ્યું?
વાસ્તવમાં અમેરિકાનાં કેટલાક નાના વ્યવસાયિક વેપારીઓએ ટેરિફ અંગે વાંધો વ્યક્ત કરી ટ્રમ્પ વહિવટીતંત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરજીમાં કહેવાયું છે કે, ‘ટ્રમ્પના ટેરિફ અંગેના નિર્ણયથી વૈશ્વિ વેપાર પર વ્યાપક પ્રભાવ પડી શકે છે.’ 23 મેએ અરજીની સુનાવણી વખતે અમેરિકન વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિકે રજૂઆતમાં કહ્યું કે, ‘ટેરિફ સત્તાઓને મર્યાદિત કરવાના નિર્ણયની અસર દરેક ક્ષેત્ર પર પડશે જેમાં વ્યૂહાત્મક પ્રભાવ ઉભો કરવા માટે આર્થિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે... બંને દેશો વચ્ચે 13 દિવસ પહેલા જ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું હતું. માત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ જ સીઝફાયર થઈ શક્યું છે.’ ટ્રમ્પ સરકારે કહ્યું કે, ‘અમેરિકાએ બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટાળવા માટે વેપાર ન કરવાની ધમકી આપી હતી. કોર્ટ ટેરિફ સત્તાઓ મર્યાદિત કરશે તો આખા ક્ષેત્રની સુરક્ષા અને લાખો લોકોનું જીવન ખતરામાં પડી શકે છે.’
ભારતે ટ્રમ્પના દાવાને રદીયો આપ્યો હતો
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારતે ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ભારત પર કાયરતાપૂર્ણ હુમલાઓ શરૂ કર્યા હતા, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ 10 મેએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ત્યારથી ટ્રમ્પે ઘણી વખત યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારત દ્વારા ઘણી વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત પછી જ યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી. ભારતે એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી, ત્યારબાદ આ સમજૂતી થઈ શકી છે.