Get The App

દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા 1 - image


COVID-19 Active Cases India 2025 : ભારતમાં જીવલેણ વાઇરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ કોરના કેસો કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે, જ્યારે કોરોના વાઇરસથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઈ છે. 

કુલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર

દેશના આ વર્ષે નોંધાયેલા કુલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1083 પર પહોંચી ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં 430, મહારાષ્ટ્રમાં 208 કેસ, દિલ્હીમાં 104 કેસ અને ગુજરાતમાં 83 કેસ છે. કર્ણાટકમાં 80માંથી 73 કેસ બેંગલુરુમાં છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાએ ધીમે ધીમે પગપેસારો કરતા એક્ટિવ કેસ 30 પર પહોંચી ગયા છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં કુલ 12 દર્દીઓના મોત થયા છે. આમાંથી નવ દર્દીઓ એક અઠવાડિયામાં મૃત્યુ પામ્યા છે. 

પાંચ રાજ્યોમાં કુલ 12ના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ પાંચના મોત થયા છે, જ્યારે કેરળમાં બે, રાજસ્થાનમાં બે, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં એક-એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં કોરોનાથી 78 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે.

પટણામાં 24 કલાકમાં છ નવા કેસ

બિહારમાં પણ કોરોના વાઇરસના નવા વેરિયન્ટનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો છે. રાજ્યની રાજધાની પટણામાં છેલ્લા 24 કલાકમાં છ લોકો પોઝિટિવ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આમાંથી એક મહિલા ડૉક્ટર અને બે નર્સનો પણ સમાવેશ થાય છે. આ તમામમાં શરદી-ઉધરસ અને તાવ જેવા લક્ષણો હતા. ત્રણ પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે ત્રણને ઘરમાં જ આઈસોલેશનમાં રખાયા છે.

આ પણ વાંચો : હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ

દેશમાં કોરોનાના ચાર વેરિયન્ટ એક્ટિવ

દેશમાં કોરોનાના LF.7, XFG, JN.1 અને NB.1.8.1 વેરિયન્ટ એક્ટિવ છે, તેમ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું છે. તાજેતરમાં કોરોનાના નવા વેરિઅન્ટ NB.1.8.1 અને LF7ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો. પરંતુ, કોરોનાનો વેરિયન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોવિડ-19ને લઈને મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડીજી ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, 'લોકોને કોવિડ-19ના આ નવા વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત સાવધાન રહેવાની જરૂર છે. સરકાર અને બધી એજન્સીઓ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહી છે. આપણે બસ મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર છે. પરંતુ જો કોઈ કેન્સરનો દર્દી હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય અથવા તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આવા લોકોને કોઈપણ ચેપથી બચવાની સલાહ આપવામાં આવે છે.'

JN.1 કેટલો ખતરનાક?

જેએન.1માં લગભગ 30 પરિવર્તનો જોવા મળ્યા છે અને તે જૂના વેરિયન્ટ્સો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે. જો કે, નિષ્ણાતો માને છે કે મોટાભાગના લોકોને રસી અને ચેપથી અમુક સ્તરનું રક્ષણ મળે છે, તેથી ગંભીરતાની શક્યતા ઓછી છે.

JN.1 વેરિયન્ટના લક્ષણો

  • માથાનો દુખાવો
  • સુકી ઉધરસ
  • હળવો તાવ
  • ગળામાં દુખાવો
  • શરીરમાં દુખાવો
  • ક્યારેક ઝાડા કે ઉલટી

સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર

જો કે આંકડા ઓછા લાગે છે, છતાં પણ સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર છે. JN.1 જેવા વેરિયન્ટ્સ જીવલેણ ન હોઈ શકે, પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, ભીડથી બચવું, માસ્ક પહેરવું અને લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય લેવાયા, ખેડૂતોના હિતમાં પણ મહત્ત્વની જાહેરાત કરાઈ

Tags :