World

'ધ વૉર ઑફ ધ સ્ટ્રે ડૉગ': એક કૂતરાની ભૂલને કારણે ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું

By GS Team
29 Jun 20265 mins read
TukuTouch Logo
વર્ષ 1925માં યુરોપના બાલ્કન ક્ષેત્રમાં ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે એક અજીબ યુદ્ધ થયું. એક ગ્રીક સૈનિક તેનો રખડતો કૂતરો સરહદ પાર કરી જતાં તેને બચાવવા બલ્ગેરિયન સીમામાં ઘૂસ્યો. બલ્ગેરિયન રક્ષકે તેને ગોળી મારી દેતાં સૈનિકનું મૃત્યુ થયું. ગ્રીસના સરમુખત્યાર પેંગાલોસે 48 કલાકનું અલ્ટીમેટમ આપી બલ્ગેરિયા પર હુમલો કર્યો. લીગ ઓફ નેશન્સે હસ્તક્ષેપ કરી યુદ્ધ અટકાવ્યું અને ગ્રીસને 45,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો. આ ઘટનામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધ વૉર ઑફ ધ સ્ટ્રે ડૉગ': એક કૂતરાની ભૂલને કારણે ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું

Historical border dispute dog: ઈતિહાસના પાનાઓ પર નજર કરીએ તો યુદ્ધો સામાન્ય રીતે જમીન, સત્તા, ઓઇલ કે કોઈ મોટા રાજકીય વિવાદોના કારણે થતા આવ્યા છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક સામાન્ય રખડતા કૂતરાના કારણે બે દેશો વચ્ચે તોપો ગર્જી ઉઠી હોય અને ભારે રક્તપાત થયો હોય? વાત સાંભળવામાં કોઈ કાલ્પનિક વાર્તા જેવી લાગે છે, પરંતુ આવું હકીકતમાં બન્યું હતું. વર્ષ 1925માં યુરોપના બાલ્કન પ્રદેશમાં એક કૂતરાના કારણે ગ્રીસ અને બલ્ગેરિયા સામસામે આવી ગયા હતા. ચાલો જાણીએ ઈતિહાસની આ વિચિત્ર ઘટના વિશે, જેને 'ધ વૉર ઑફ ધ સ્ટ્રે ડૉગ'(રખડતા કૂતરાનું યુદ્ધ) અથવા 'પેટ્રિચનું સંકટ' તરીકે ઓળખવામાં આવે છે.

એક કૂતરાની ભૂલે તણાવ સર્જ્યો

વાત છે ઓક્ટોબર 1925ની. યુરોપના બાલ્કન ક્ષેત્રમાં ગ્રીસ અને બલ્ગેરિયાની સરહદો જ્યાં મળતી હતી, ત્યાં વાતાવરણ ભારે તણાવપૂર્ણ હતું. બંને દેશો અગાઉ પણ કેટલાક યુદ્ધો લડી ચૂક્યા હોવાથી સરહદ પર તહેનાત સૈનિકો એકબીજા પ્રત્યે ખૂબ જ આક્રમક હતા. એક નાની ચિંગારી પણ મોટો વિસ્ફોટ કરી શકે તેમ હતી.

તારીખ 18 ઓક્ટોબર, 1925ના રોજ સરહદ પરની ચોકી પર એક ગ્રીક સૈનિક તેના પાળેલા રખડતા કૂતરા સાથે રમી રહ્યો હતો. અચાનક કૂતરો કંઈક જોઈને દોડ્યો અને ગ્રીસ તથા બલ્ગેરિયા વચ્ચેની કાલ્પનિક સરહદ રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'(બે દેશો વચ્ચેની ખાલી જગ્યા) તરફ આગળ વધી ગયો. સૈનિક જાણતો હતો કે તેના વહાલા કૂતરાને ન રોક્યો તો બલ્ગેરિયન સૈનિકો તેને ગોળી મારી દેશે. તેથી ગ્રીક સૈનિકે નિયમોની પરવા કર્યા વિના રાઇફલ ઉઠાવી અને તેની પાછળ દોડ્યો. કૂતરાને પકડવાના ચક્કરમાં તે બલ્ગેરિયાની સરહદની અંદર પ્રવેશી ગયો.

બલ્ગેરિયન વોચ ટાવર પર તહેનાત રક્ષકે દૂરબીનથી એક સશસ્ત્ર ગ્રીક સૈનિકને પોતાની સરહદમાં ઘૂસતો જોયો. તેને જાસૂસ કે હુમલાખોર સમજીને બલ્ગેરિયન રક્ષકે સીધી ગોળી ચલાવી દીધી. ગ્રીક સૈનિક ત્યાં જ ઢળી પડ્યો. તેનો જીવ ચાલ્યો ગયો અને કૂતરો ત્યાંથી ભાગી છૂટ્યો.

સરમુખત્યારના અહંકારે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

જો આ ઘટના વર્તમાન સમયમાં બની હોત તો બંને દેશોના કમાન્ડરોએ હોટલાઇન પર વાત કરીને મામલો થાળે પાડ્યો હોત. પરંતુ તે સમયે ગ્રીસમાં જનરલ થિયોડોરોસ પેંગાલોસ નામના સરમુખત્યારનું શાસન હતું. પેંગાલોસ પોતાની પ્રજા સામે પોતાને એક કડક અને શક્તિશાળી નેતા સાબિત કરવા માંગતા હતા.

જ્યારે આ ઘટનાના સમાચાર એથેન્સ પહોંચ્યા ત્યારે સરમુખત્યારે તેને એક સૈનિકના મૃત્યુ તરીકે નહીં, પણ બલ્ગેરિયા સામે પોતાની તાકાત બતાવવાની સોનેરી તક તરીકે જોઈ. કૂતરાને બચાવવાના પ્રયાસમાં મૃત્યુ પામેલા સૈનિકને 'રાષ્ટ્રીય ગૌરવ'નું પ્રતીક બનાવીને તેમણે અખબારો અને રેડિયો દ્વારા દેશભરમાં રાષ્ટ્રવાદની લાગણી ભડકાવી દીધી. ગ્રીક સરકારે બલ્ગેરિયા સામે અત્યંત આક્રમક વલણ અપનાવીને 48 કલાકનું કડક અલ્ટીમેટમ આપ્યું, જેમાં ત્રણ મુખ્ય શરતો હતી.

  1. બલ્ગેરિયન સરકારે આ ઘટના માટે સત્તાવાર અને જાહેર માફી માંગવી.
  2. જવાબદાર સરહદ રક્ષકોને કડક સજા કરવી.
  3. મૃતક સૈનિકના પરિવાર અને ગ્રીક સરકારને વળતર પેટે 2 મિલિયન ફ્રેન્ચ ફ્રેંક ચૂકવવા.

બલ્ગેરિયાએ વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો અને જણાવ્યું કે ગ્રીક સૈનિક હથિયાર સાથે સરહદ પાર કરી આવ્યો હોવાથી રક્ષકોએ માત્ર પોતાની ફરજ બજાવી છે. તેમણે આ મામલાની તપાસ માટે એક સંયુક્ત સમિતિ બનાવવાની માંગ કરી, પરંતુ સરમુખત્યાર પેંગાલોસ શાંતિ નહોતા ઈચ્છતા.

સમયમર્યાદા પૂરી થતાં યુદ્ધ છેડાઈ ગયું

અલ્ટીમેટમની સમયમર્યાદા પૂરી થતાં જ 22 ઓક્ટોબર, 1925ના રોજ જનરલ પેંગાલોસે સેનાને આદેશ આપ્યો. ગ્રીક આર્મીએ ભારે હથિયારો સાથે બલ્ગેરિયા પર પૂર્ણ કક્ષાનું આક્રમણ કરી દીધું. ગ્રીક સૈનિકોએ બલ્ગેરિયાના સરહદી શહેર પેટ્રિચ અને તેની આસપાસના ગામો પર કબજો જમાવી લીધો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી થયેલી 'ન્યુઇલી-સુર-સીન સંધિ' (Treaty of Neuilly-sur-Seine)ના લશ્કરી પ્રતિબંધોને કારણે બલ્ગેરિયા પાસે મોટી સેના નહોતી. છતાં સ્થાનિક નાગરિકો અને સૈનિકોએ ભેગા મળીને ગેરિલા યુદ્ધ શરૂ કર્યું. આ હિંસામાં બંને દેશના સરહદી વિસ્તારોમાં નિર્દોષ નાગરિકોના ઘરો સળગી ગયા. લોકો જીવ બચાવવા જંગલો તરફ ભાગ્યા. લોકોને એ પણ ખબર નહોતી કે તેમના પર વરસી રહેલી મુસીબતનું કારણ એક કૂતરો હતો.

વૈશ્વિક મધ્યસ્થતાએ યુદ્ધ અટકાવ્યું

બલ્ગેરિયાને બહુ ઝડપથી સમજાઈ ગયું કે તે ગ્રીસની સેનાનો સામનો કરી શકશે નહીં એટલે તેણે કુટનીતિનો આશરો લીધો. તેણે તત્કાલીન વૈશ્વિક સંગઠન 'લીગ ઓફ નેશન્સ' (જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919માં વિશ્વ શાંતિ માટે સ્થપાયું હતું અને બાદમાં નિષ્ફળ જતાં બીજા વિશ્વયુદ્ધ પછી 24 ઓક્ટોબર, 1945ના રોજ 'સંયુક્ત રાષ્ટ્ર' એટલે કે UN માં રૂપાંતરિત થયું)ને એક કટોકટીનો ટેલિગ્રામ મોકલ્યો, જેમાં લખ્યું હતું કે, 'કોઈપણ માન્ય કારણ વિના અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમારું સાર્વભૌમત્વ જોખમમાં છે. કૃપા કરીને બીજા વિશ્વયુદ્ધથી વિશ્વને બચાવો.'

લીગ ઓફ નેશન્સે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી. બ્રિટન અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશોએ પોતાની નૌસેનાને એલર્ટ કરી દીધી અને ગ્રીસને કડક ચેતવણી આપી કે જો તેઓ તાત્કાલિક સેના પાછી નહીં ખેંચે, તો તેના પર આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. વૈશ્વિક સ્તરે એકલા પડી ગયેલા સરમુખત્યાર પેંગાલોસને આખરે નમવું પડ્યું અને ગ્રીક સેનાએ પીછેહઠ કરવી પડી.

ઈતિહાસનો સૌથી મોંઘો કૂતરો અને યુદ્ધનું પરિણામ

લીગ ઓફ નેશન્સની તપાસ સમિતિએ ગ્રીસની આ લશ્કરી કાર્યવાહીને 'અન્યાયી અને અતિશય આક્રમક' ઠેરવી. લીગે ગ્રીક સરકાર પર બલ્ગેરિયાને યુદ્ધના નુકસાનના વળતર પેટે 45,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો.

તે સમયે બહુ મોટી ગણાતી આ આર્થિક સજાએ ગ્રીસની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. રાષ્ટ્રીય હીરો બનવા નીકળેલા સરમુખત્યાર જનરલ પેંગાલોસ જનતાની નજરમાં મજાકનું પાત્ર અને ખલનાયક બની ગયા, કેમ કે તેમણે એક કૂતરા પાછળ દેશની તિજોરી ખાલી કરી નાખી હતી.

વ્યક્તિગત અહંકાર આખા ગ્રીસને ભારે પડ્યો

આ વિચિત્ર અને ટૂંકા ગાળાના યુદ્ધમાં અંદાજે 50 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના બલ્ગેરિયાના નિર્દોષ ખેડૂતો અને નાગરિકો હતા. હજારો પરિવાર બેઘર થયા હતા. ઈતિહાસનું આ પ્રકરણ આપણને શીખવે છે કે જ્યારે શાસકોનો વ્યક્તિગત અહંકાર અને અતિ-રાષ્ટ્રવાદ ભેગા થાય છે, ત્યારે એક સામાન્ય રખડતો કૂતરો પણ વિનાશક યુદ્ધનું કારણ બની શકે છે.