Bangladesh News : બાંગ્લાદેશમાં આજથી નવો અધ્યાય શરૂ થયો છે. દેશમાં નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથગ્રહણ કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તારિકે વડાપ્રધાન બન્યા પહેલા મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં શપથગ્રહણ પહેલા મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેને રહેમાને વડાપ્રધાન બનતા પહેલાં જ નકારી કાઢ્યો છે.
BNPએ યુનુસનો પ્રસ્તાવ મનમાની ગણાવ્યો
યુનુસના પ્રસ્તાવમાં તમામ નવા સાંસદોએ ‘કૉન્સ્ટિટ્યૂશન રિફૉર્મ કાઉન્સિલ’ એટલે કે બંધારણીય સુધારા પરિષદના સભ્ય તરીકે એક શપથ પત્ર પર હસ્તાક્ષર કરવાના હતા. જોકે શપથગ્રહણ સમારોહની શરૂઆતમાં જ તારિકની ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (BNP)એ યુનુસના પ્રસ્તાવને મનમાની ગણાવી નકારી કાઢ્યો છે.
બંધારણમાં ફેરફાર કરવાની યુનુસની ઈચ્છા પર પાણી ફરી ગયું
બીએનપી દ્વારા પ્રસ્તાવ નકારી કાઢવાના નિર્ણયથી યુનુસના તે પ્રયાસોને ઝટકો લાગ્યો છે, જેમાં તેઓ બંધારણમાં મોટો ફેરફાર કરવા ઈચ્છતા હતા. કાઉન્સિલનો ઉદ્દેશ્ય ચૂંટણીની સાથે લોકમતના આધારે બાંગ્લાદેશના બંધારણમાં સંશોધન કરવાનો હતો.
સાંસદો, કાઉન્સિલના ફૉર્મ પર હસ્તાક્ષર ન કરો : તારિકનો નિર્દેશ
બીએનપીના નેતા સલાઉદ્દીન અહમદે તારિક રહેમાનની ઉપસ્થિતિમાં સ્પષ્ટ કહ્યું કે, ‘પાર્ટી પ્રમુખ તારિક રહેમાને નિર્દેશ બાદ બીએનપીના તમામ નવા સાંસદો કહેવાયું છે કે, તેઓ કૉન્સ્ટિટ્યૂશન રિફૉર્મ કાઉન્સિલ (Constitutional Reform Proposal)ના ફૉર્મ પર હસ્તાક્ષર ન કરે, કારણ કે સાંસદોને કાઉન્સિલ દ્વાર નહીં, પંરતુ પ્રજાએ સભ્ય તરીકે ચૂંટ્યા છે. કૉન્સ્ટિટ્યૂશન રિફૉર્મ કાઉન્સિલ વર્તમાન બંધારણનો ભાગ નથી. પાર્ટીનું માનવું છે કે બંધારણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અથવા નવી પરિષદની રચના જનમત સંગ્રહના પરિણામો અને સંસદીય ચર્ચાઓના આધારે થવી જોઈએ.’ તારિક રહેમાનના શપથ ગ્રહણ સાથે જ બાંગ્લાદેશમાં છેલ્લા 18 મહિનાથી કાર્યરત મોહમ્મદ યુનુસ (Muhammad Yunus)ની વચગાળાની સરકારના શાસનનો અંત આવ્યો છે.
Swearing-in ceremony of the Honorable Prime Minister and the Members of the Cabinet.🇧🇩#SwearingIn #NewCabinet #Bangladesh #Democracy #ShobarAgeyBangladesh #BNP pic.twitter.com/d3nWKpPjpg
— BNP Media Cell (@BNPBdMediaCell) February 17, 2026
તારિક રહેમાનને ભારત આવવા આમંત્રણ
ઉલ્લેખનીય છે કે, આજે બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાન (Bangladesh PM Tarique Rahman)ના શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ વિધિ બાદ તારિક રહેમાને સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા અને રાષ્ટ્રપતિ શહાબુદ્દીને 25 મંત્રીઓ તથા 24 રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, માલદીવ અને ભૂતાનના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો વ્યક્તિગત અભિનંદન પત્ર તારિક રહેમાનને સોંપ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીએ રહેમાનને વહેલી તકે ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


