Saudi Arabia Bus Accident : સાઉદી અરબ એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. અહીં મક્કાથી મદીના જતી એક બસની ટેન્કર સાથે ભયંકર ટક્કર થતા 45 ભારતીયોના મોત થયા છે. આ કરુણ દુર્ઘટનામાં હૈદરાબાદના એક જ પરિવારના 18 સભ્યોએ પણ જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકો મક્કાથી ઉમરાહ કરીને મદીના જઇ રહ્યા હતા અને ત્યાંથી ભારત પરત ફરવાના હતા. આ દરમિયાન ભયાવહ અકસ્માતે જાણે આખા પરિવારનું અસ્તિત્વ જ ખતમ કરી દીધું છે.
હૈદરાબાદના એક જ ઘરના 18 સભ્યોનું મોત
હૈદરાબાદના મુસીરાબાદના રહેવાસી શેખ નસીરુદ્દીન અને તેમની પત્ની અખ્તર બેગમ પણ આ બસમાં હતા. તેમની સાથે તેમનો દીકરો, બે દીકરીઓ, વહુ અને પરિવારના અન્ય સભ્યો પણ હતા. એક સંબંધીએ રડતાં રડતાં જણાવ્યું, ‘તેઓ આ યાત્રા માટે અઠવાડિયાઓથી તૈયારી કરી રહ્યા હતા. બધા ખૂબ જ ખુશ હતા અને આજે એ જ ઘરમાં માતમ છવાયો છે.’
આ પણ વાંચોઃ બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસી, માનવતા વિરુદ્ધના ગુના બદલ દોષિત જાહેર
મૃતકોના સંબંધીની પીડા
પીડિત પરિવારના સંબંધી મોહમ્મદ અસલમ આ અંગે ભાવુક થતાં જણાવ્યું હતું કે, ‘અમારા 18 લોકો... બધા ખતમ થઈ ગયા. અમે સરકાર પાસે સંપૂર્ણ તપાસની માગ કરીએ છીએ અને જે જવાબદાર છે, તેમને સજા મળવી જોઈએ.’
બીજો એક પરિવાર પણ વિખેરાયો
આ દુર્ઘટનામાં અન્ય એક પરિવાર પણ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો છે, જેમાં સાબિહા બેગમ, તેમનો દીકરો ઇરફાન, વહુ હુમૈરા, અને તેમના બે નાના બાળકો હામદાન અને ઇઝાને જીવ ગુમાવ્યા છે. મૃતકોના સંબંધીઓએ તેમને યાદ કરતાં કહ્યું કે, ‘બાળકો પહેલીવાર ઉમરાહ માટે ગયા હતા... બધા ખૂબ જ ખુશ હતા.’
હજ કમિટીએ મદદનું આશ્વાસન આપ્યું
આ ભયાવહ દુર્ઘટના બાદ તેલંગાણા સ્ટેટ હજ કમિટીએ પીડિતોને મદદનું આશ્વાસન આપ્યું છે. હજ કમિટીના ચેરમેન ગુલામ અફઝલ બિયાબાનીએ જણાવ્યું કે, ‘અમારું ખાનગી ઓપરેટરો પર કોઈ નિયંત્રણ નથી, પરંતુ અમે પીડિતોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડીશું. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે સંપૂર્ણ માહિતી અને સહાય આપીશું.’


