World

યુક્રેન પર રશિયાના ડ્રોન મિસાઈલથી હુમલા, તો ગાઝામાં સહાય રોકી હુમલા વધારવાની ઈઝરાયલની તૈયારી

By GS TEAM
31 Aug 20253 mins read
TukuTouch Logo
રશિયાએ શુક્રવારની રાતથી લઈને શનિવાર સવાર સુધી દક્ષિણ યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા, જેમાં સ્થાનિક અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું મૃત્યુ થયું અને ઘણા લોકો ઘાયલ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન પર રશિયાના ડ્રોન મિસાઈલથી હુમલા, તો ગાઝામાં સહાય રોકી હુમલા વધારવાની ઈઝરાયલની તૈયારી

Russia Ukraine War: રશિયાએ શુક્રવારની રાતથી લઈને શનિવાર સવાર સુધી દક્ષિણ યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા, જેમાં સ્થાનિક અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું મૃત્યુ થયું અને ઘણા લોકો ઘાયલ થયા છે. 

પાંચ માળની રહેણાંક ઇમારત પર થયો હુમલો

આ હુમલો પાંચ માળની રહેણાંક ઇમારત પર થયો હતો. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા મુજબ, રશિયાએ છોડેલા 537 ડ્રોન અને 45 મિસાઇલોમાંથી 510 ડ્રોન અને 38 મિસાઇલોને ડીએક્ટીવ કરવામાં આવી હતી. આ હુમલો બે દિવસ પહેલા કિવ પર થયેલા હુમલા બાદ થયો, જેમાં 23 લોકો માર્યા ગયા હતા અને EU ઓફિસોને નુકસાન પહોંચ્યું હતું.

યુક્રેનનો રશિયા પર હુમલો

યુક્રેને રશિયાના ઓઈલ રીફાઇનીંગ પ્લાન્ટ્સ પર હુમલા ચાલુ રાખ્યા છે. યુક્રેનના જનરલ સ્ટાફે શનિવારે જણાવ્યું કે શુક્રવાર-શનિવારની રાત્રે ક્રિમિયા પાસે ક્રાસ્નોડાર અને સમરા વિસ્તારમાં સ્થિત બે ઓઈલ રીફાઇનીંગ પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા, કારણ કે આ પ્લાન્ટ્સ રશિયાને યુદ્ધ માટે પૈસા પૂરા પાડે છે.

શનિવારે, રશિયાના ક્રાસ્નોડાર શહેરમાં એક ઓઈલ રિફાઈનરીમાં ડ્રોનના ભંગારને કારણે આગ લાગી હતી. આ પ્લાન્ટની વાર્ષિક શુદ્ધિકરણ ક્ષમતા 30 લાખ ટન છે. યુક્રેનના જનરલ સ્ટાફ અનુસાર, સમરા પ્રાંતમાં આવેલા સિઝરાન તેલ શુદ્ધિકરણ પ્લાન્ટમાં પણ અલગ ડ્રોન હુમલાને કારણે આગ લાગી હતી.

ઇઝરાયલ ગાઝામાં હુમલા વધારશે

ઇઝરાયલે ગાઝાને યુદ્ધક્ષેત્ર જાહેર કર્યા બાદ હમાસ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વધારી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ ટૂંક સમયમાં ઉત્તરી ગાઝામાં માનવતાવાદી સહાયને રોકશે અથવા ઘટાડશે, જેથી લાખો લોકોને દક્ષિણ તરફ ખસેડી શકાય. આ સાથે, ગાઝા શહેર પર હવાઈ હુમલા પણ બંધ કરી દેવામાં આવશે. ઇઝરાયલે શુક્રવારે દિવસની લડાઈ પૂર્ણ કરીને ગાઝા શહેરને હમાસનો ગઢ જાહેર કર્યો હતો.

ગાઝામાં ભૂખમરાની સ્થિતિ

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિને કારણે દરરોજ ઓછામાં ઓછા 600 ટ્રકોની સહાયની જરૂર છે, પરંતુ શનિવાર સુધી કોઈ હવાઈ સહાય પહોંચી ન હતી. રેડ ક્રોસે ચેતવણી આપી છે કે ખોરાક, પાણી અને તબીબી સંભાળના અભાવને કારણે મોટા પાયે સ્થળાંતર શક્ય નથી.

આ પણ વાંચો: ભારત-ચીન સરહદના તણાવમુક્ત સંચાલન માટે સહમત, PM મોદી-જિનપિંગની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

દરમિયાન, વડાપ્રધાન નેતન્યાહૂની ઓફિસે 7 ઓક્ટોબરે અપહરણ કરાયેલા બંધક ઇદાન શ્તિવીના અવશેષો મળ્યાની પુષ્ટિ કરી છે. હજુ પણ ગાઝામાં 48 બંધકો છે, જેમાંથી 20 જીવિત હોવાનું મનાય છે. પરિવારો સંઘર્ષ વિરામની માંગ સાથે ફરી તેલ અવીવમાં ભેગા થયા.

શિફા હોસ્પિટલ અનુસાર, ઇઝરાયલી હુમલાઓમાં ગાઝા શહેરની એક બેકરી પર હુમલો થયો જેમાં 12 લોકો માર્યા ગયા અને રિમાલ વિસ્તારમાં અન્ય એક હુમલામાં 7 લોકો માર્યા ગયા. હમાસે આ હુમલાને 'નાગરિકો વિરુદ્ધ ક્રૂર હુમલો' ગણાવ્યો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા

ગાઝાના આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં ત્રણ બાળકો સહિત 10 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે, જેના કારણે યુદ્ધ શરૂ થયા બાદ કુપોષણથી મૃત્યુ પામનારની સંખ્યા 332 થઈ છે. મંત્રાલયે જણાવ્યું કે 63,371 પેલેસ્ટાઈનિયન માર્યા ગયા છે, જેમાં લગભગ અડધા મહિલાઓ અને બાળકો છે. જોકે, ઇઝરાયલ આ આંકડાઓને માન્ય ગણતું નથી અને તેણે પોતાના આંકડાઓ રજૂ કર્યા નથી.