બ્રિટનના વિમાન પર રશિયાના વિમાને લેસર બીમ એટેક કરતાં તણાવ વધ્યું, મિલિટ્રી ઓપરેશનની ધમકી

|
Russia and Britain Tension: રશિયન જાસૂસી જહાજ 'યાંતર' બ્રિટિશ જળસીમામાં ઘૂસ્યું અને તેના પર નજર રાખી રહેલા બ્રિટિશ વાયુસેનાના પાઇલટને રોકવા માટે પહેલીવાર લેસર બીમનો ઉપયોગ કર્યો, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રી જૉન હીલીએ યાંતરના આ ખૂબ જ ખતરનાક પગલાને સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું જણાવ્યું. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે જહાજ સ્કોટલેન્ડની ઉત્તરે UKની જળસીમામાં ઘૂસ્યું હોય. હીલીએ ચેતવણી આપી કે જાસૂસી જહાજોના આ શક્તિશાળી લેસર બીમ પાઇલટોની આંખો ચકાચૌંધ કરીને હવાઈ દુર્ઘટનાનું જોખમ વધારે છે.
હીલીનો રશિયાને સ્પષ્ટ સંદેશ: 'અમે તમને જોઈ રહ્યા છીએ
હીલીએ જણાવ્યું કે, 'UK આ જહાજ પર સતત નજર રાખશે અને જો યાંતર પોતાનો માર્ગ બદલે, તો UK પાસે મિલિટરી ઑપ્શન તૈયાર છે.'
જૉન હીલીએ રશિયા અને પુતિનને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે, 'અમે તમને જોઈ રહ્યા છીએ અને તમે શું કરી રહ્યા છો તેની જાણ છે. જો યાંતર આ સપ્તાહે દક્ષિણ તરફ આગળ વધે, તો અમે તૈયાર છીએ.'
યાંતર માટે UKના લશ્કરી વિકલ્પો તૈયાર
લેસરની આ ઘટના ત્યારે બની જ્યારે રોયલ નેવીના એક ફ્રિગેટ અને RAF પોસાઇડન P-8 પ્લેન જહાજની દરેક ગતિવિધિને ટ્રેક કરવા માટે યાંતરનો પીછો કરી રહ્યા હતા. આ ઘટના છેલ્લા બે અઠવાડિયાની અંદર થઈ હોવાનું માનવામાં આવે છે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી ન્યૂઝ કૉન્ફરન્સમાં, ડિફેન્સ સેક્રેટરીએ જાહેરાત કરી કે તેમણે રોયલ નેવીના એન્ગેજમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનાથી હવે તે યાંતરનો વધુ નજીકથી પીછો કરી શકશે.
બ્રિટનના આરોપો પર રશિયાનો જવાબ
આ આરોપોના જવાબમાં, લંડનમાં આવેલા રશિયન દૂતાવાસે જણાવ્યું કે રશિયાનું કામ યુનાઇટેડ કિંગડમના હિતોને અસર કરતું નથી, કે તેનો હેતુ તેની સુરક્ષાને નબળી પાડવાનો નથી. રશિયાએ બ્રિટન દ્વારા મૂકવામાં આવેલા આ આરોપોને 'અનગણિત આરોપોની શ્રુંખલા' ગણાવી છે.
રશિયાએ વધુમાં કહ્યું કે, 'તેમને બ્રિટિશ અંડરવૉટર કમ્યુનિકેશનમાં કોઈ રસ નથી.' રશિયાએ બ્રિટનને ચેતવણી આપી કે તે એવા નુકસાનકારક પગલાં લેવાનું ટાળે, જે યુરોપ મહાદ્વીપમાં સંકટની પરિસ્થિતિને વધુ વકરાવે.
માર્ગ બદલવા પર UKના મિલિટરી ઑપ્શન તૈયાર
ધમકીભર્યા અંદાજમાં બ્રિટિશ સંરક્ષણ મંત્રી જૉન હીલીએ કહ્યું કે, 'જો યાંતર પોતાનો માર્ગ બદલશે, તો UK પાસે લશ્કરી વિકલ્પો તૈયાર છે. હું તે વિકલ્પો વિશે નહીં જણાવું, કારણ કે તેનાથી પ્રેસિડેન્ટ પુતિન વધુ સજાગ બનશે.'
લેસરના સંભવિત જોખમો વિશે પૂછવામાં આવતાં હીલીનો જવાબ હતો કે, 'બ્રિટિશ લશ્કરી વિમાનના ઇન્ચાર્જ પાઇલટોને રોકતી, ખલેલ પહોંચાડતી કે જોખમમાં મૂકતી કોઈપણ વસ્તુ ખૂબ જ ખતરનાક છે.'
આ પણ વાંચો: યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 27ના મોત, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન
શા માટે ખતરનાક છે લેસર બીમ?
લેસર બીમથી વાયુસેનાના પાઇલટોને ગંભીર નુકસાન થઈ શકે છે. પાઇલટો ફ્લાઇંગ મૉડમાં હોય છે, તે દરમિયાન લેસર બીમની ચમકથી રેટિના પર અચાનક વધુ પ્રકાશ પડે છે, જેનાથી પાઇલટ 5-30 સેકન્ડ સુધી સંપૂર્ણપણે લગભગ અંધ થઈ જાય છે. ઓછી ઊંચાઈ પર ઉડાન દરમિયાન આ ક્રિટિકલ ફેઝ(ટેકઑફ-લેન્ડિંગ)માં વિમાન દુર્ઘટનાનું કારણ બની શકે છે.
લેસર પછી આંખોમાં ચમકદાર ધબ્બા ઘણા મિનિટો સુધી રહે છે. તેનાથી પાઇલટને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ વાંચવા, લક્ષ્ય ઓળખવા કે રાત્રે નેવિગેશનમાં ભારે મુશ્કેલી થાય છે. જો લેસરની તીવ્રતા 50 mWથી વધુ હોય (સૈન્ય લેસર ડેઝલર500- 1000mWસુધી હોય છે), તો રેટિનામાં બળતરા, રક્તસ્રાવ અથવા કાયમી અંધત્વ થઈ શકે છે. તેનાથી પાઇલટની ઉડાન ભરવાની ક્ષમતા હંમેશા માટે સમાપ્ત થઈ શકે છે.

