G7 સમિટ: PM મોદી કેનેડા પહોંચ્યા, અનેક દેશના નેતાઓ સાથે કરશે મુલાકાત, ટ્રમ્પ અમેરિકા રવાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Canada Visit: સાયપ્રસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા છે. કેનેડામાં અત્યારે G7 સમિટનું આયોજન થઈ રહ્યું છે જેમાં વિશ્વના અનેક નેતાઓ એક મંચ પર જોવા મળશે. તેમનો 2015 બાદ આ પહેલો કેનેડા પ્રવાસ છે. તેઓ કેનેડા, યુક્રેન અને મેક્સિકોના પ્રમુખ સાથે બેઠક કરશે. આ ઉપરાંત ઈટાલીના વડાંપ્રધાન મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક, ફ્રાંસના પ્રમુખ મેક્રોં તથા બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર સાથે પણ પીએમ મોદીની મુલાકાત થશે.
શું છે G7?
G7 દુનિયાના વિકસિત દેશોનું સમૂહ છે જેમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન, અમેરિકાનો સમાવેશ થાય છે. આ સાત વિશ્વની અર્થવ્યવસ્થાનો 44 ટકા હિસ્સો ધરાવે છે.
પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત નહીં થાય
આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત નહીં થાય. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા છોડી અમેરિકા માટે રવાના થઈ રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈને અટકળો ચાલી રહી હતી. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદથી જ ટ્રમ્પ સતત સીઝફાયરને લઈને દાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો: સતત પાંચમા દિવસે ઈરાન-ઈઝરાયલના મિસાઈલ હુમલા, ટ્રમ્પે કહ્યું- તાત્કાલિક તેહરાન ખાલી કરો
કયા મુદ્દે ચર્ચા થશે
આ સમિટમાં G7 દેશ તથા આમંત્રિત દેશના નેતાઓ એનર્જી સિક્યુરિટી, ટેકનોલોજી, ઈનોવેશન જેવા વિષય પર ચર્ચા કરવાના છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી તથા ઉર્જા પર વિશેષ ધ્યાન અપાશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને આપી ધમકી
ઈઝરાયલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી તે બાદથી જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે ઈરાન પાસે હજુ પણ એક મોકો છે, એ અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરે નહીંતર હજુ પણ ભયાનક હુમલા થશે. હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનનો પરાજય નિશ્ચિત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી કહ્યું છે, કે 'મેં ઈરાનને પહેલા જ ડીલ કરી લેવા કહ્યું હતું. સામાન્ય શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોઈ શકે. મેં વારંવાર કહ્યું. સૌ કોઈ તાત્કાલિક તેહેરાન ખાલી કરે.'









