Get The App

સતત પાંચમા દિવસે ઈરાન-ઈઝરાયલના મિસાઈલ હુમલા, ટ્રમ્પે કહ્યું- તાત્કાલિક તેહરાન ખાલી કરો

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
સતત પાંચમા દિવસે ઈરાન-ઈઝરાયલના મિસાઈલ હુમલા, ટ્રમ્પે કહ્યું- તાત્કાલિક તેહરાન ખાલી કરો 1 - image


Iran-Israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત પાંચ દિવસથી સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. સોમવારે પણ બંને દેશોએ એક બીજા પર મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને તેલ અવીવ, હાઈફા અને પેટાહ ટિકવા સહિતના ઈઝરાયના શહેરો પર હુમલો કરતાં અનેક લોકો માર્યા ગયાની આશંકા છે.  અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 22 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે બીજી તરફ ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં 220થી વધુ લોકોના મોત થયા છે. જોકે ન્યૂઝ એજન્સી APના અહેવાલ અનુસાર મોતનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. એવામાં ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે. ત્યારે G7ની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે.  

ઈરાન દ્વારા મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા તથા આગામી સૂચના સુધી બહાર ન આવવા નિર્દેશ આપ્યા.  



ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ છોડી અમેરિકા રવાના થશે

નોંધનીય છે કે કેનેડામાં અત્યારે G7 સમિટ ચાલી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે. જોકે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિયત કાર્યક્રમ કરતાં વહેલા કેનેડાથી રવાના થઈ જવાના છે. વ્હાઈટ હાઉસ દ્વારા આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.  

ચીને પોતાના નાગરિકોને ઈઝરાયલ છોડવા કહ્યું 

ઈઝરાયલ અને ઈરાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોના કારણે પણ ટેન્શન વધ્યું છે. ચીને પોતાના નાગરિકોને વહેલામાં વહેલી તકે ઈઝરાયલ છોડવા સલાહ આપી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને આપી ધમકી 

ઈઝરાયલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી તે બાદથી જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે ઈરાન પાસે હજુ પણ એક મોકો છે, એ અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરે નહીંતર હજુ પણ ભયાનક હુમલા થશે. હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનનો પરાજય નિશ્ચિત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી કહ્યું છે, કે 'મેં ઈરાનને પહેલા જ ડીલ કરી લેવા કહ્યું હતું. સામાન્ય શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોઈ શકે. મેં વારંવાર કહ્યું. સૌ કોઈ તાત્કાલિક તેહેરાન ખાલી કરે.' 

યુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ?

અગાઉ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો જેમાં ઈરાનના 20 ટોપ કમાન્ડર સહિત 75થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચીફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઇઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હુમલો કરાયો હતો. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું. નોંધનીય છે કે ઈરાન તેજીથી પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે અને અહેવાલો અનુસાર તેમને સફળતા પણ મળી રહી હતી. એવામાં અમેરિકા અને ઇઝરાયલ નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને. 

સરળ શબ્દોમાં સમજો ઈરાન-ઈઝરાયલનો સંઘર્ષ:



Tags :