'પાણી આપો નહીંતર યુદ્ધ માટે તૈયાર રહો', બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
CR Patil On Pakistan : પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના પ્રમુખ અને પૂર્વ પાક. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આપેલી ધમકીનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. PPPના પ્રમુખે 'જો સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે તો અમે બધી છ નદીઓ પર કબજો કરી લઈશું, અમે યુદ્ધથી પણ પાછળ હટીશું નહીં...'ની ધમકીને લઈને જળ ઉર્જા મંત્રી સી આર પાટીલે જવાબ આપતાં કહ્યું કે, 'પાણી ક્યાંય જશે નહીં, જે કહેવું હોય તે કહેતા રહો.'
PPP પ્રમુખની ધમકી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા. જેને લઈને દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને ઠાર કર્યા હતા. આ પહેલા ભારતે પાકિસ્તાન વિરોધી પાંચ મહત્ત્વપૂર્ણ પગલાં લીધા હતા. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હતી. ભારતના આ નિર્ણય બાદ પાકિસ્તાનની હાલત કફોડી બની છે. જેને લઈને મુંઝાયેલું પાકિસ્તાન વિચિત્ર નિવેદન આપી રહ્યું છે. જેમાં બિલાવલ ભુટ્ટો ઝરદારી આ કામમાં લાગ્યા હોય એવું લાગી રહ્યું છે. જેઓ પાકિસ્તાનમાં હોય કે વિદેશમાં ફક્ત સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યા છે.
સીઆર પાટીલની પ્રતિક્રિયા
બિલાવલ ભુટ્ટો ઝરદારીની ધમકીને લઈને સી આર પાટીલે કહ્યું કે, 'હું તમને એક વાક્યમાં એટલું જ કહીશ કે પાણી ક્યાંય નહીં જાય. બાકી બિલાવલ ભુટ્ટો ઝરદારી શું કરે છે એ એમનો પ્રશ્ન છે. તેમને પોતાની પોલિટિક્સ ત્યાં કરવી છે તો જે કહેવું હોય એ કહે. તેમની ધમકીથી અમે ડરતા નથી. પરંતુ કેટલીક વાતો સમય પર જ સારી લાગે છે, એટલા માટે તેનો જવાબ સમય પર આપવો ઉચિત રહેશે.'
આ પણ વાંચો: 'પહલગામ હુમલાને દુનિયા ભૂલી નથી', ભારતે UNમાં પાકિસ્તાનને આડેહાથ લીધું
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે, સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત થશે નહીં. આ અંગે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે ધમકી આપી હતી કે, 'જો ભારત સિંધુ જળ સંધિ સ્વીકારવાનો ઇન્કાર કરશે, તો પાકિસ્તાન બધી છ નદીઓનું પાણી લેશે. ભારતે સિંધુ જળ સંધિ શરુ કરવી જોઈએ અથવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.' અગાઉ પણ, બિલાવલ ભુટ્ટો ઝરદારીનું આવું જ આક્રમક નિવેદન આવ્યું હતું.