'પહલગામ હુમલાને દુનિયા ભૂલી નથી', ભારતે UNમાં પાકિસ્તાનને આડેહાથ લીધું
Ambassador P. Harish On UN : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં પાકિસ્તાનની 'રાજકીય રીતે પ્રેરિત ટિપ્પણીઓ' અને 'નાપાક એજન્ડા'ને આગળ વધારવાના તેના પ્રયાસોની સખત નિંદા કરી છે. UNની પ્રક્રિયાઓ પર પાકિસ્તાનના 'અયોગ્ય આરોપો' અને બાળકો પરના અત્યાચાર અને સરહદ પારના આતંકવાદથી ધ્યાન હટાવવાના તેના પ્રયાસોને સખત નકારી કાઢતાં ભારતે કહ્યું કે, 'વિશ્વ હજુ પહલગામ હુમલાને ભૂલી શક્યું નથી.'
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી. હરીશે કહ્યું કે, 'UN મહાસચિવના રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, અમે પાકિસ્તાન દ્વારા તેના પોતાના દેશમાં બાળકો પર થઈ રહેલા અત્યાચારો પરથી ધ્યાન હટાવવાના પ્રયાસને નકારીએ છીએ.'
ભારતીય રાજદૂતે શું કહ્યું?
'બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ'ના મુદાને લઈને સુંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદની વાતચીત દરમિયાન ભારતીય રાજદૂતે જોરદાર જવાબ આપ્યો હતો. જેમાં તેમણે પાકિસ્તાનને આ મંચનો દુરુપયોગ કરવા અને કાઉન્સિલના કાર્યસૂચિનું ઉલ્લંઘન કરવાને લઈને સખત ફટકાર લગાવી હતી. હરીશે કહ્યું કે, યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના રિપોર્ટમાં પાકિસ્તાનમાં સશસ્ત્ર સંઘર્ષમાં બાળકો પર થતાં ગંભીર અત્યાચારોની વિગતો આપવામાં આવી છે.
મહાસચિવે સ્કૂલો, ખાસ કરીને છોકરીની સ્કૂલો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સામે હુમલાઓ સહિતના ગંભીર અત્યાચારોમાં થતાં વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે અફઘાનિસ્તાન નજીકના બોર્ડર વિસ્તારોમાં પાકિસ્તાની સશસ્ત્ર દળો દ્વારા સરહદ પર ગોળીબાર અને હવાઈ હુમલાના કારણે અફઘાન બાળકોની હત્યા અને દિવ્યાંગતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતને બદનામ કરવાના આરોપ પર ભારતીય રાજદૂતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો હતો.