Poland Foreign Minister Statement: પોલૅન્ડના વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ તોફિલ બાર્ટોજૂસ્કી ભારતની મુલાકાતે છે, ત્યારે તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે ભારતના પ્રભાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે, ત્યારે પીએમ મોદી તેમને શાંતિ સ્થાપવા માટે અપીલ કરશે.
શાંતિ સ્થાપવા માટે PM મોદીને અપીલ
પોલૅન્ડના વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ તોફિલ બાર્ટોજૂસ્કીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે છે તેના પર ધ્યાન આપે છે. મને ખૂબ આશા છે કે જ્યારે તે (પુતિન) ભારત આવશે, ત્યારે પીએમ મોદી તેમને શાંતિ સ્થાપવા માટે કહેશે.
તેમણે યાદ કરાવ્યું કે 'છ-સાત મહિના પહેલાં પીએમ મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે પુતિનને યુક્રેનમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા કહ્યું હતું અને બંને નેતાઓએ તે સમયે યોગ્ય કાર્ય કર્યું હતું.'
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ છતાં BRICS સામેલ થવા માંગે છે આ દેશ, ભારત પાસે માંગી મદદ
યુદ્ધના કારણે ભારતને પણ અસર
યુદ્ધની એસર અંગે પોલૅન્ડના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'યુક્રેન સંઘર્ષ કોઈના ફાયદામાં નથી અને તે ભારતને પણ આડકતરી રીતે અસર કરે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે બે મોટી રશિયન કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી ભારતને રશિયા તરફથી મળતા મોટા પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.'
ભારતના હિત અંગે એમ તેમણે કહ્યું કે, 'પ્રમુખ ટ્રમ્પ દેશોને પ્રભાવિત કરવા માટે જે ટેરિફનો ઉપયોગ કરી રહ્યા છે તે ભારતના હિતમાં નથી. યુક્રેનમાં યુદ્ધ ન થાય તે ભારત ઇચ્છે છે.
ભારત પાસે વધારે ક્ષમતા
યુદ્ધ રોકવા માટે ચીનની ક્ષમતા વિશે પણ વાત કરી, પરંતુ ભારતના પ્રભાવ પર વધુ ભાર મૂકતાં તેમણે કહ્યું કે, 'ચીન પાસે યુદ્ધ અટકાવવાની મોટી ક્ષમતા છે, જોકે ભારત રશિયા સાથે સારા સંબંધો ધરાવતો એક ગંભીર દેશ છે અને તે વ્યૂહાત્મક પરમાણુ હથિયારની જેમ થોડું દબાણ લાવી શકે છે. રશિયા ધીમે ધીમે ચીનનું ગુલામ બની રહ્યું છે, પરંતુ પુતિન પીએમ મોદી શું કહે છે તેના પર ધ્યાન આપે છે.'
ઉલ્લેખનીય છે કે, પોલૅન્ડના વિદેશમંત્રીનું આ નિવેદન વૈશ્વિક સ્તરે ભારતની વધતી રાજદ્વારી ભૂમિકા અને વડાપ્રધાન મોદીના અંગત પ્રભાવનું મહત્ત્વ દર્શાવે છે.


