પાણી માટે પાકિસ્તાનની કાગારોળ, ભારતને એક પછી એક 4 પત્રો લખ્યા, જાણો શું માગ કરી
India-Pakistan Relation: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના આ નિર્ણયને કારણે પાકિસ્તાન ખૂબ તણાવમાં છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિના સસ્પેન્શનને સમાપ્ત કરવા અને પહેલા જેવી સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતને એક પછી એક 4 પત્રો લખ્યા છે. આ બધા પત્રોનો સાર એ છે કે સિંધુ જળ સંધિને રોકવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
'લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી'
અહેવાલો અનુસાર, ભારતના ઓપરેશન સિંદૂર પછી લખાયેલા પત્રમાં પાકિસ્તાને લખ્યું હતું કે, 'ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.' ભારતે પાકિસ્તાનની અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે, 'વેપાર અને આતંકવાદ એકસાથે ચાલી શકતા નથી અને પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી.'
આ પણ વાંચો: પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ, દિગ્ગજ નેતાનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનમાં ભીષણ સંકટ શક્યતા
સૂત્રોના જણાવ્યાનુસાર, સિંધુ જળ સંધિ લાગુ ન કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ભીષણ સંકટ સર્જાઈ શકે છે. એવો અંદાજ છે કે પાકિસ્તાનમાં રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત પીવાના પાણીના સંકટને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
સિંધુ પાણી માટે ભારતની તૈયારી શું છે?
સિંધુ જળ સંધિ બંધ કર્યા પછી, ભારત હવે પાણીનો વધુ સારો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત બિયાસ નદીના પાણીનો પોતાના માટે ઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે લાંબા ગાળાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત, 130 કિમી લાંબી નહેર બનાવવામાં આવશે જે ગંગા કેનાલ સાથે જોડાયેલી હશે. આગામી ત્રણ વર્ષમાં નહેર બાંધકામનું કામ પૂર્ણ થવાની શક્યતા છે.