પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ, દિગ્ગજ નેતાનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
AI image |
Pakistan Deadly Explosion: પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ અબ્બાસ ખાન આફ્રિદીના ઘરમાં ગેસ લીકેજને કારણે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે (પાંચમી જૂન) થયો હતો.
પાક. પોલીસે તપાસ શરૂ કરી
અહેવાલો અનુસાર, ગેસ લીકેજને કારણે અબ્બાસ ખાન આફ્રિદીના નિવાસસ્થાનમાં ગુરુવારે (પાંચમી જૂન) ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને અબ્બાસ ખાન આફ્રિદી સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ અબ્બાસ ખાન આફ્રિદીની હાલત અત્યંત નાજુક હતી. ડોકટરોના અથાક પ્રયાસો છતાં શુક્રવારે (છઠ્ઠી જૂન) સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
પાકિસ્તાન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં તે ગેસ લીકેજનો મામલો લાગે છે, પરંતુ બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને બેદરકારીની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે.
અબ્બાસ ખાન આફ્રિદી કોણ હતા?
પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદી રાજકારણમાં એક અગ્રણી ચહેરો માનવામાં આવતો હતો. તે સેનેટર પણ રહી ચૂક્યા હતા અને ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં તેમનો રાજકીય પ્રભાવ હતો. તે વર્ષ 2024માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને પીએમએલ-એન પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું. જો કે, તેમણે એક સામાજિક કાર્યકર અને રાજકીય સલાહકાર તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું.