સિંધુ સંધિ પર રોક બાદ હવે શું? આંતરરાષ્ટ્રીય કાયદા મુદ્દે માથું કૂટી રહ્યા છે પાકિસ્તાનના નેતાઓ
India Suspends Indus Water Treaty: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. સિંધુ, ચિનાબ, ઝેલમ, બિયાસ, રાવી અને સતલજ નદીનો કંટ્રોલ ભારત પાસે છે. આથી હુમલા બાદ કડક વલણ અપનાવતા ભારતે પાકિસ્તાન સાથે વર્ષ 1960માં થયેલી સિંધુ જળ સંધિ મુલતવી રાખી છે. પાકિસ્તાનની ખેતી, પીવાના પાણી અને વીજળી ઉત્પાદનનો મોટો ભાગ આ પાણી પર નિર્ભર છે.
ભૌગોલિક દૃષ્ટીએ નદીઓનો કંટ્રોલ ભારતના હાથમાં
સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી જે પાકિસ્તાનીઓ પીવે છે, બિયાસ, રાવી અને સતલજ નદીઓનું પાણી જે પાકિસ્તાન કરાર હેઠળ ભારતને આપવામાં આવ્યું છે, તેઓ તેનાથી પાક ઉગાડે છે, તે નદીઓ તિબેટના માનસરોવર તળાવ, હિમાચલના લાહૌલ સ્પીતી, રોહતાંગ પાસમાંથી નીકળે છે, જમ્મુ-કાશ્મીર-પંજાબમાંથી વહીને પછી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી સમુદ્રમાં ભળી જાય છે. ભૌગોલિક દૃષ્ટીએ આ નદીઓનો કંટ્રોલ ભારતના હાથમાં છે.
સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક ઐતિહાસિક જળ-વહેંચણી કરાર છે, જેના પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે વિશ્વ બૅન્ક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યું હતું, અને ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ફિલ્ડ માર્શલ અયુબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર સિંધુ નદી અને તેની પાંચ ઉપનદીઓ, રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણીને નિયંત્રિત કરે છે.
આ કરારમાં કોને શું મળ્યું?
સિંધુ જળ સંધિ હેઠળ, નદીના પાણી અને અન્ય સંસાધનોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યા છે. આ નદીઓ પૂર્વીય અને પશ્ચિમી નદીઓમાં વહેંચાયેલી છે. ભારતને પૂર્વીય નદીઓ એટલે કે રાવી, બિયાસ અને સતલજ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ તે કોઈપણ નિયંત્રણો વિના વીજ ઉત્પાદન, કૃષિ અને અન્ય જરૂરિયાતો માટે કરી શકે છે.
તેમજ પશ્ચિમી નદીઓ, એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબનું મોટાભાગનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવે છે, પરંતુ ભારતને આ નદીઓનો મર્યાદિત ઉપયોગ (દા.ત., બિનવપરાશકર્તા ઉપયોગ અને વીજ ઉત્પાદન) કરવાની મંજૂરી છે.
કરાર મુજબ, સિંધુ નદી પ્રણાલીના 80% પાણી પાકિસ્તાન જાય છે, જ્યારે બાકીનું પાણી ભારત જાય છે. કરારના અમલીકરણ અને વિવાદોના ઉકેલ માટે બંને દેશો વચ્ચે સિંધુ જળ આયોગની બેઠકો નિયમિતપણે યોજાય છે.
છેલ્લી બેઠક 30-31 મે, 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેને બંને દેશોએ સૌહાર્દપૂર્ણ ગણાવી હતી. જોકે, હવે ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની જાહેરાત કરી છે, જેની પાકિસ્તાન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
આ પણ વાંચો: ન્યૂ જર્સીના જંગલોમાં ભીષણ આગ, 3000 લોકોનું સ્થળાંતર, 25000 મકાનોમાં વીજળી ડૂલ
કરાર સસ્પેન્શનની પાકિસ્તાન પર અસર
સિંધુ જળ સંધિ પાકિસ્તાન માટે જીવનરેખા છે કારણ કે દેશ તેની કૃષિ, પીવાના પાણી અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે સિંધુ અને તેની ઉપનદીઓ પર ખૂબ નિર્ભર છે. કરાર સ્થગિત કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન માટે ગંભીર અને બહુપક્ષીય અસરો થઈ શકે છે:
પાણીનું સંકટ
પાકિસ્તાનનું અર્થતંત્ર, ખાસ કરીને કૃષિ, સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. આ સિસ્ટમનું પાણી પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં 17 લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનને સિંચાઈ કરે છે. જો ભારત પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) નું પાણી રોકે છે, તો તેનાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે, જેના કારણે પાક ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ શકે છે.
ખાદ્ય સુરક્ષા માટે ખતરો
પાકિસ્તાનની લગભગ 70% વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે. પાણીની અછત ઘઉં, ચોખા અને કપાસ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન પર અસર કરશે, જેના કારણે ખાદ્ય અસુરક્ષા અને ભાવમાં વધારો થશે.
ઉર્જા કટોકટી
પાકિસ્તાન તેની વીજળી ઉત્પાદન ક્ષમતાનો મોટો હિસ્સો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી મેળવે છે, જે સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. પાણી પુરવઠામાં ઘટાડો થવાથી વીજ ઉત્પાદન પર અસર પડશે, જે દેશમાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા ઉર્જા સંકટને વધુ ખરાબ કરી શકે છે.
આર્થિક નુકસાન
પાણીની કટોકટી અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પાડશે. વિશ્વ બૅન્કના અંદાજ મુજબ, સિંધુ નદીની ખીણમાં ખેતી અત્યંત ફળદ્રુપ છે અને જો તે પ્રભાવિત થાય છે, તો પાકિસ્તાનનો પહેલાથી જ બગડતો GDP વધુ બગડી શકે છે.
સામાજિક અશાંતિ
પાણી અને ખાદ્ય સંકટ પાકિસ્તાનમાં સામાજિક અશાંતિ અને વિરોધ પ્રદર્શનો તરફ દોરી શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકો પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, સિંધુ નદીના પાણીને લઈને પાકિસ્તાનના રાજ્યોમાં યુદ્ધ શરુ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો: ભારત સરકારના ધડાધડ મોટા નિર્ણયો બાદ પાકિસ્તાન સરકાર અને સેનામાં દોડાદોડી મચી
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું?
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી આસિફે પોતાના નિવેદનમાં કહ્યું, 'પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજાશે. ભારતીય કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવા માટે નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ તેમજ મુખ્ય કેબિનેટ મંત્રીઓ હાજરી આપશે.'
આવી બેઠકો સામાન્ય રીતે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવે છે. પહલગામમાં થયેલી જઘન્ય આતંકવાદી ઘટના બાદ ફરી એકવાર પાકિસ્તાન પર આંગળી ચીંધાઈ રહી છે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર વધુ કડક કાર્યવાહી કરી શકે છે.
સુરક્ષા નિષ્ણાતો સિંધુ જળ સંધિ અને સંયુક્ત રાષ્ટ્રનો આગ્રહ રાખી રહ્યા છે. તેમજ સુરક્ષા નિષ્ણાતો બાલાકોટના ડરામણા દિવસોને યાદ કરી રહ્યા છે.
પાકિસ્તાનના પંજાબ સરકારના મંત્રી આઝમા બોખારીએ ભારતને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. તેમણે પહલગામમાં થયેલા હુમલાને ભારતનું કાવતરું ગણાવ્યું અને કહ્યું કે, 'ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુ:સાહસના ગંભીર પરિણામો આવશે.'
આ મામલે હવે પાકિસ્તાન શું કરશે?
પાકિસ્તાન આ મામલો વિશ્વ બૅન્ક અથવા અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ શકે છે કારણ કે આ કરાર વિશ્વ બૅન્ક દ્વારા મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો. જો કે, ભારતે પહેલાથી જ હેગમાં કાયમી મધ્યસ્થી અદાલતમાં કાર્યવાહીમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે, જે પાકિસ્તાનની કાનૂની સ્થિતિને નબળી બનાવી શકે છે.
જો આ રીતે જોવામાં આવે તો પાકિસ્તાન પાસે કોઈ ખાસ વિકલ્પ બચ્યો નથી. જણાવી દઈએ કે 1948માં ભારતે બે મોટી નહેરોનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે પાકિસ્તાની પંજાબમાં 17 લાખ એકર જમીનને નુકસાન થયું હતું. હવે ફરી એકવાર પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે.